Gautam Gambhir's Tweet: લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીરના એક ટ્વિટએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તેમના આ ટ્વિટનું કનેક્શન વિરાટ કોહલી સાથે થયેલી લડાઇ સાથે છે. વાસ્તવમાં એક મોટી મીડિયા સંસ્થાના એન્કરે વિરાટ સાથેની ચર્ચાના મામલે ગૌતમ ગંભીરની આકરી ટીકા કરી હતી. આ અંગે ગૌતમ ગંભીરે વળતો જવાબ આપ્યો છે.






ગૌતમ ગંભીરે પોતાના ટ્વીટમાં કોઈનું નામ નથી લીધું, પરંતુ તેણે જે લખ્યું તે પછી ક્રિકેટ ચાહકો સમજી ગયા કે આખરે ગંભીર કોના વિશે આ વાત કહી રહ્યા હતા. ગૌતમ ગંભીરે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે  'પ્રેશરનું કારણ આપીને દિલ્હી ક્રિકેટ છોડીને ભાગી જનાર વ્યક્તિ હવે ક્રિકેટની ચિંતા માટે પૈસા લઈને સમાચાર વેચવા આતુર છે. આ કલિયુગ છે, જ્યાં ભાગેડુઓ તેમની કોર્ટ ચલાવે છે.


ગંભીરે આ ટ્વિટ કરતાની સાથે જ ક્રિકેટ ચાહકોએ ઈન્ડિયા ટીવી એન્કર રજત શર્માનો તે વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું, જેમાં રજત શર્માએ વિરાટ કોહલી સાથેની લડાઇ મામલે ગૌતમ ગંભીરને ઘમંડી કહ્યો હતો. રજત શર્માએ એમ પણ કહ્યું હતું કે વિરાટ કોહલીની લોકપ્રિયતા ગૌતમ ગંભીરને પરેશાન કરે છે. ઉલ્લેખનીય છે કે રજત શર્મા લાંબા સમયથી ઈન્ડિયા ટીવી પર પ્રખ્યાત ઈન્ટરવ્યુ શો 'આપકી અદાલત' ચલાવી રહ્યા છે. તેઓ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)ના વડા પણ રહી ચૂક્યા છે. તેમણે નવેમ્બર 2019માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.


વિરાટ અને ગૌતમ વચ્ચે ઝઘડો થયો હતો


IPLમાં ગયા સોમવારે (1 મે) લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં મોટી લડાઈ થઇ હતી. આ મેચની છેલ્લી ઓવરો દરમિયાન વિરાટ કોહલી અને લખનઉના બોલર નવીન-ઉલ-હક વચ્ચે બોલાચાલી થઇ હતી. વિરાટના આ વર્તનથી ગુસ્સે થઈને લખનઉ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર ગુસ્સે થઈ ગયા અને પછી તેમણે કોહલી સાથે ઘણી ચર્ચા કરી હતી. આ ઘટના છેલ્લા બે દિવસથી ખૂબ ચર્ચામાં છે.