Virat Kohli Reaction: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 21 રનથી હાર મળી હતી. વિરાટ કોહલીની ટીમને મેચ જીતવા માટે 201 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે 20 ઓવરમાં 8 વિકેટે 179 રન જ બનાવી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલીએ 37 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી જ્યારે મહિપાલ લોમરોરે 18 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા. જો કે આ હાર પર વિરાટ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.






આ મેચ પર વિરાટ કોહલીએ શું કહ્યું?


આ હાર પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમે મેચમાં સારું રમ્યા નથી. અમે હાર ડિઝર્વ કરતા હતા. અમે વિપક્ષી ટીમને જીતવાની તક આપી હતી, અમારું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું. જો તમે મેચ પર નજર નાખશો તો તમે જોશો કે અમને મળેલી તકોનો અમે લાભ ઉઠાવી શક્યા નથી. અમે ઘણા કેચ છોડ્યા, જેના કારણે અમને વધુ 25-30 રનનો પીછો કરવો પડ્યો. આ સિવાય અમારા બેટ્સમેન સતત આઉટ થતા રહ્યા જેના કારણે અમે લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં. તેણે એમ પણ કહ્યું કે માત્ર એક સારી ભાગીદારી મેચનું પાસુ પલટી શકે છે પરંતુ એવું થયું નહીં.






વિરાટ કોહલી સિવાય મહિપાલ લોમરોરે રોયલ ચેલેન્જર્સ બેગ્લોર માટે ચોક્કસપણે રન બનાવ્યા પરંતુ ટીમના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ખાસ કરીને ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસ સસ્તામાં આઉટ થઇ ગયા હતા.  ફાફ ડુ પ્લેસિસે 7 બોલમાં 17 રન બનાવ્યા હતા, પરંતુ ઝડપી શરૂઆતને મોટી ઇનિંગમાં બદલી શક્યો નહોતો. આ સાથે જ ગ્લેન મેક્સવેલે 4 બોલમાં 5 રન બનાવ્યા હતા. આ સિવાય દિનેશ કાર્તિકે 18 બોલમાં 22 રનની ધીમી ઇનિંગ રમી હતી. આરસીબી માટે બંને ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે તોફાની શરૂઆત કરી હતી. બંને ખેલાડીઓએ માત્ર 2.1 ઓવરમાં 31 રન બનાવ્યા હતા પરંતુ આરસીબી નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી પરિણામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને હારનો સામનો કરવો પડ્યો હતો.