નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર વસીમ જાફરની પંજાબ કિંગ્સમાં વાપસી થઇ છે. એક વર્ષ પછી તે પંજાબ કિંગ્સમાં બેટિંગ કોચની ભૂમિકા નિભાવશે. ટીમે કોચિંગ અને કેપ્ટનશીપ બંનેમાં ઘણા ફેરફારો કર્યા છે. ટ્રેવર બેલિસને નવા મુખ્ય કોચ અને બ્રેડ હેડિનને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શિખર ધવન IPL 2023માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરશે. પંજાબે મયંક અગ્રવાલને રિલીઝ કરી દીધો છે.






જાફરે અગાઉ જૂલાઈમાં બાંગ્લાદેશ અંડર-19 બેટિંગ સલાહકાર બનવા માટે ઓડિશા રણજી ટીમનું કોચ પદ છોડી દીધું હતું. તેણે તાજેતરમાં બાંગ્લાદેશની અંડર-19 ટીમ સાથે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. જાફરે 23 ટી-20 મેચમાં 616 રન બનાવ્યા હતા. તેણે તેની છેલ્લી ટી-20 માર્ચ 2012માં રમી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચમાં પંજાબ સામેની સેમીફાઈનલમાં મુંબઈનો બેટ્સમેન માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. આ તેની છેલ્લી ટી-20 મેચ હતી.


પંજાબ કિંગ્સનું ખરાબ પ્રદર્શન


પંજાબ કિંગ્સ IPL 2022માં આઠમી વખત પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી.  ટીમ મેનેજમેન્ટે શિખર ધવન અને જોની બેયરસ્ટોને ઓપનર્સ તરીકે તૈયાર કર્યા છે. ગત સિઝનમાં મયંક અગ્રવાલ કેપ્ટન હતો પરંતુ ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો ન હતો. મયંક છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ છે. તેને ભારતીય ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો.


મયંક અગ્રવાલ તેમજ ઓડિયન સ્મિથ જેવા મોંઘા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ઓડિયન સ્મિથને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તે સારુ પ્રદર્શન કરી શક્યો નહીં.


 આ ખેલાડીઓને રિટેન કરાયા


શિખર ધવન (કેપ્ટન), શાહરૂખ ખાન, જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, રાજ બાવા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાયડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કગીસો રબાડા, રાહુલ ચહર અને હરપ્રીત બરાર


કેટલી બચી છે પર્સ વેલ્યૂ


આ રિલીઝ અને રિટેન બાદ ટીમ પાસે કુલ 3 વિદેશી ખેલાડીઓનો સ્લોટ બાકી છે. પંજાબે ટ્રેડ મારફતે કોઇ ખેલાડીને ટીમમાં સામેલ કર્યો નથી. હવે આ રીલીઝ પછી ટીમની કુલ પર્સની કિંમત 7.05 કરોડ છે. ટીમ આ પૈસાનો ઉપયોગ મિની ઓક્શનમાં કરશે.