નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. બીસીસીઆઈ વીજિયો પર મયંક અગ્રવાલે ઈશાંત શર્મા સાથે વાત કરી હતી. આ દરમિયાન ઈશાંતે કહ્યું, જ્યારે તે આયરલેન્ડ સામે પ્રથમ વન ડે રમવા ગયો હતો ત્યારે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમવા જવાનું હતું. મારી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પસંદગી થઈ હતી. 17 વર્ષના ઈશાંતની પસંદગી ઈંગ્લેન્ડ સામે વન ડે સીરિઝમાં નહોતી થઈ અને તે આમ ન થવા બદલ ઘરે બેસીને સમય પસાર કરતો હતો.


ઈશાંતે આગળ જણાવ્યું કે, મારા પર ફોન આવ્યો કે આયરલેન્ડ વન ડે સીરિઝ રમવા જવાનું છે. મને કહેવામાં આવ્યું કે ત્યાં ખૂબ ઠંડી છે. ધોની, કાર્તિક, ઉથપ્પા અને આરપી સિંહ ત્યાંના હવામાનના કારણે બીમાર થઈ ગયા હતા. તેણે આગળ જણાવ્યું, મારો સામાન એરપોર્ટ પર બદલાઈ ગયો અને હોટલમાં આ કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જ્યારે આયરલેન્ડ પહોંચ્યો ત્યારે મારા સામાનની રાહ જોતો હતો. મેં મારા મેનેજરને કોલ કર્યો. તેમણે કહ્યું સામાન સીધો તમારા રૂમમાં પહોંચી જશે. મને લાગ્યું કે આ તો જોરદાર સુવિધા છે કારણકે અમે રણજીમાં ખુદ બધુ લઈને જતા હતા.

તેણે વાતચીતમાં કહ્યું, બધા પ્રેક્ટિસ કરતા હતા અને હું ત્યાં ઉભો હતો. જે બાદ રાહુલ દ્રવિડ મારી પાસે આવ્યા અને પૂછ્યું તું પ્રેક્ટિસ કેમ નથી કરતો. મેં કહ્યું- હું નર્વસ હતો, તેમણે કહ્યું- શું બોલી રહ્યો છે?

જે બાદ મેં કહ્યું, રાહુલભાઈ મારી બેગ જ નથી. તેમણે પૂછ્યું, તેનો મતલબ શું છે? મેં કહ્યું, ફ્લાઇટમાં રાખી હતી પરંતુ મને મળી નહીં. રાહુલ દ્રવિડે કહ્યું કે, પછી તું પ્રેક્ટિસ કેવી રીતે કરીશ, હું ફરી ચિંતામાં પડી ગયો. આખરે મેં ઝહીર ભાઈ પાસેથી શૂઝ માંગ્યા અને મારી પ્રથમ વન ડે દક્ષિણ આફ્રિકા સામે રમ્યો.