નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઓફિસમાં આમ તો સતત ચાહકોનાં ફોન આવતાં હોય છે. પરંતુ હવે ‘કેપ્ટન કુલ’ તરીકે જાણીતા અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈ ચાહકોના ફોન સતત વધી રહ્યા છે. 15 વર્ષ સુધી બીસીસીઆઈના ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા બર્નાર્ડ ફર્નાન્ડિસે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમને તાજેતરમાં નોકરી છોડી છે.

એક ખાનગી મીડિયા સાથે વાતચીતમાં બર્નાર્ડ ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે, તેમને અનેકવાર એવા ફોન આવતાં હતા જેમાં ચાહક પોતાના ફેવરેટ ક્રિકેટર સાથે વાત કરવાની વિનંતી કરતો હોય. પરંતુ કેટલાક ચાહકો ગાળો પણ આપતા હતાં અને કેટલાંક ધોનીને રિટાયર ના કરવાની સલાહ પણ આપતા હતા.

બર્નાર્ડે એક ઘટનાની વાત કરતા જણાવ્યું હતું કે, એક દિવસ એક ચાહકે બીસીસીઆઈની ઓફિસમાં ફોન કરી કહ્યું હતું કે તેમના પિતા મરવાની સ્થિતિમાં છે અને તેમની અંતિમ ઈચ્છા કે તેઓ આ ખેલાડી સાથે વાત કરે. હું કેવી રીતે આવું કહેતો કે આ અસંભવ છે. પરંતુ તેમને પ્રેમથી ફેનને સાચી હકીકત કહી હતી.

આ ઉપરાંત બર્નાર્ડે જણાવ્યું હતું કે, ભલે વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોની ભારતના સૌથી પોપ્યુલર ખેલાડીઓ હોય પરંતુ કે.એલ.રાહુલ માટે સૌથી વધુ મહિલાઓનાં ફોન આવે છે અને વાત કરાવવાની માંગ કરે છે. અનેકવાર મહિલાઓ ફોન કરે છે અને કે.એલ.રાહુલ સાથે વાત કરવા માટે કહે છે.