ભારત - સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં આજે ત્રીજી વન-ડે, ટીમ ઈન્ડિયા પાસે જીતની હેટ્રિક લગાવવાનો મોકો
ગત બે વનડેમાં પ્રતિષ્ઠા મુજબનો દેખાવ કરી ન શકનાર રોહિત શર્માની સ્થિતિ ઘાયલ સિંહ જેવી છે અને આગામી મેચમાં જોરદાર ફટકાબાજી માટે તૈયાર છે. પિચ પર સેટ થઈ ગયા બાદ તે શું કરી શકે છે તેની ક્રિકેટ વર્લ્ડ અને સાઉથ આફ્રિકાના બોલરો પણ પરિચિત છે.
મિડલ ઓર્ડરમાં કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા સારો દેખાવ કરવા આતુર છે. આ બેટ્સમેનોને મોકો મળે તો ગમે તેવી સ્થિતિમાં પણ આફ્રિકાને ભારે પડી શકે છે.
કેપટાઉનઃ ઇજાગ્રસ્ત ખેલાડીઓથી પરેશાન યજમાન સાઉથ આફ્રિકાની ટીમ આજે ભારતીય સમય મુજબ બપોરે 4.30 કલાકે વન ડે સીરિઝનો ત્રીજો મુકાબલો રમવા મેદાન પર ઉતરશે. ભારતીય ટીમ કેપટાઉન વન-ડે જીતી સીરિઝમાં 3-0ની લીડ લેવા કટિબદ્ધ છે. ટીમ ઇન્ડિયામાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે તેવી શક્યતા છે.
યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની સ્પિન બોલિંગ સામે આફ્રિકન બેટ્સમેનો સામનો કરી શક્યા નથી. આ બંનને પ્રથમ બે મેચમાં 34,2 ઓવરમાં 121 રન આપીને 13 વિકેટ ખેરવી છે. કેપટાઉનની પીચ પર સ્પિનરો મદદ કરતી હોય છે. તેથી આ વખતે પણ બંને સ્પિનરો પાસેથી સારા દેખાવની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શરૂઆતની બંને મેચોમાં દર્શાવ્યું કે તે રમતને અલગ ફોર્મેટમાં ખૂબ ઝડપથી ઢાળી દે છે. પ્રથમ વનડેમાં સદી અને બીજી વનડેમાં અણનમ 48 કરનારા વિરાટે શ્રેણીની બાકીની વન-ડે અને ટી-20 સીરિઝ માટે અલર્ટ જાહેર કરી દીધું છે.
પ્રથમ ટેસ્ટ બાદ ડ્રોપ કરવામાં આવેલા ધવને રંગીન કપડામાં આવતા જ ચમક બતાવી છે. જ્યારે રહાણેએ પણ પ્રથમ મેચમાં 79 રન બનાવીને ફોર્મમાં હોવાનો સંકેત આપ્યો હતો. આ બંને બેટ્સમેન સેટ થયા બાદ વિરોધી ટીમ પર ભારે પડી શકે છે.