સેન્ચ્યુરિયનમાં આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ, ટીમ ઈન્ડિયા માટે કરો યા મરોનો મુકાબલો
સેન્ચ્યુરિયનઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે આજથી સેન્ચ્યુરિનમાં સાઉથ આફ્રિકા સામે રમાનારી બીજી ટેસ્ટ મેચ કરો યા મરો સમાન બની રહેશે. શ્રેણીને જીવંત રાખવા માટે ભારતે કોઇ પણ ભોગે વિજય હાંસલ કરવો પડશે. ભારતીય ટીમમાં બે ફેરફાર થઈ શકે છે. પાર્થિવ પટેલ અને લોકેશ રાહુલનો ટીમમાં સમાવેશ થઈ શકે છે. કેપટાઉનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતનો કારમો પરાજય થયો હતો.
100 વિકેટ પૂરી કરવાથી મોહમ્મદ શમીને માત્ર એક વિકેટની જરૂર છે. અત્યાર સુધી તે 99 ટેસ્ટ વિકેટ ઝડપી ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે 50મી ટેસ્ટ સદી સચિન તેંડુલકરે આ મેદાનમાં ફટકારી હતી. જોકે આ મેચમાં ભારતને ઇનિંગ્સના પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
સુપર સ્પોર્ટ પાર્ક ખાતે સાઉથ આફ્રિકની ટીમ 1995થી અત્યાર સુધી 22 ટેસ્ટ મેચ રમ્યું છે અને તેમાંથી 17 ટેસ્ટ જીત્યું છે. માત્ર બે મેચમાં પરાજય મળ્યો છે અને ત્રણ મેચ ડ્રો રહી છે. બીજી તરફ ભારતે અહીં એક જ ટેસ્ટ મેચ રમી છે અને તેમાં સાઉથ આફ્રિકાનો ઇનિંગ્સથી વિજય થયો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શનિવારથી રમાનાર બીજી ટેસ્ટ મેચ પહેલા બંને ટીમોના ખેલાડીઓને સૈનિકો સલામી આપશે. પ્રથમ વખત દક્ષિણ આફ્રિકી સેના મ્યૂઝિક બેન્ડ સાથે ક્રિકેટરોને સલામી આપશે. શનિવારે મેચ શરૂ થતા પહેલા દક્ષિણ આફ્રિકી સેનાના લગભગ 50 અધિકારી મેદાન પર મ્યૂઝિક બેન્ડ સાથે એક પરેડ માર્ચમાં ભાગ લેશે. સૈનિકો પેરાશૂટ દ્વારા મેદાનમાં ઉતરશે અને પછી બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. આ પછી દક્ષિણ આફ્રિકી સૈનિક 21 તોપોની સલામી આપશે અને સેનાના અધિકારી ફરીથી બેન્ડ સાથે માર્ચ કરીને સ્ટેડિયમની બહાર નિકળી જશે.