નવી દિલ્હીઃ મયંક અગ્રવાલ ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક બેટિંગ માટે ઓળખાય છે અને તેના કારણે જ બની શકે કે વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ આગામી મહિને રમાનાર વનડે સીરીઝ માટે તેને ટીમ ઇન્ડિયામાં તક મળે. એવું કહેવાય છે કે, આગમી વર્ષે શરૂ થનાર ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ રમાનાર ત્રણ વનડે મેચની સીરીઝમાં જો ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવે તો મયંક અગ્રવાલ તેનો સારો વિકલ્પ હોઈ શકે છે.


રોહિત શર્મા છેલ્લા ઘણાં સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. અને વિન્ડિઝમાં રમાયેલ 2 ટેસ્ટમાં તેને તક મળી ન હતી. પરંતુ ટીમમાં તે સામેલ હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં રોહિતનું મહત્ત્વનું યોગદાન હશે. આ દરમિયાન ભારતે ઈન્ટરનેશનલ 5 ટી20, 3 વન-ડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે.

અગ્રવાલ વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે અને ટી-20 સિરીઝનો વિકલ્પ બની શકે છે કે જેણે અત્યાર સુધી લિસ્ટ એમાં 50થી વધુની સરેરાશ અને 100થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે. તેમજ સાથે સાથે 13 સદી ફટકારી છે. શિખર ધવનનું લાંબા સમયથી નબળું પરફોર્મન્સ અને કેએલ રાહુલ સિવાય બીજો વિકલ્પ તૈયાર રાખવાની જરૂરિયાત પ્રમાણે અગ્રવાલને સારી તક મળી શકે છે.

મયંક અગ્રવાલને વર્લ્ડ કપ દરમિયાન છેલ્લા મેચમાં વિજય શંકરની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યો હતો. ત્યારે ભલે ટુર્નામેન્ટમાં રમવાની તક મળી ન હતી પરંતુ સંકેત હતા કે તેની આક્રમક રમતના કારણે તે મેચમાં શામેલ થઈ શકે છે.