નવી દિલ્હીઃ વડાપ્રધાન ઓફિસે આર્થિક સંકટનો સામનો કરી રહેલી પ્રાઇવેટ એરલાઇન્સ જેટ એરવેઝને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખરોલાએ કહ્યું કે, જેટની સેવાઓ 15 એપ્રિલ સુધી કોઇ પણ સંજોગોમાં અવરોધિત રહેશે. જેટ એરવેઝ પાસે સપ્તાહમાં ફક્ત 6થી સાત ઉડાણ ભરવાના રૂપિયા છે.


રોકડની અછતને કારણે જેટ એરવેઝની તમામ ઇન્ટરનેશનલ ઉડાણો 15 એપ્રિલ સુધી રદ કરવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇડિયાના નેતૃત્વ ધરાવતા બેન્કોના જૂથ તરફથી હિસ્સેદારીના વેચાણ માટે નક્કી કરવામાં આવેલી હરાજીની સમયસીમા શુક્રવારે ખત્મ થઇ ગઇ છે. હાલમાં બેન્કોનું જૂથ એરલાઇનની ઉડાણો પર નિયમિત નજર રાખી રહ્યું છે.  આ અગાઉ આ હરાજી બુધવારે ખત્મ થઇ રહી હતી પરંતુ બાદમાં તેને વધારીને શુક્રવાર સુધી તેને આગળ વધારી દેવામાં આવી છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરલાઇન્સના સંસ્થાપક નરેશ ગોયલ, સંયુક્ત આરબ અમીરાતની એતિહાદ એરવેઝ, એર કેનેડા અને અન્ય રોકાણકારોએ એરલાઇન માટે હરાજી સોંપી છે. એરલાઇને પોતાની ઇન્ટરનેશનલ ઉડાણોને અસ્થાયી રીતે નિલંબિત રાખવાની જાહેરાત ગુરુવારે કરી હતી. લીઝનું ભાડુ નહી ભરી શકવાના કારણે 10 અન્ય વિમાનોને ઉડાણથી બહાર કર્યા બાદ જેટ એરવેઝે પૂર્વી, અને પૂર્વોત્તર ભારત તરફ જનારી ફ્લાઇટોને રદ કરવાની જાહેરાત કરી હતી. એરલાઇન્સ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, રોકડની અછતને કારણે જેટ એરવેઝે ઇન્ટરનેશનલ ઉડાણોને રદ રાખવાનો નિર્ણય સોમવાર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.