નવી દિલ્હીઃ શુક્રવારે આઈપીએલના બીજા ક્વોલિફાયર મેચમાં ધોનીની આગેવાનીમાં સીએસકેએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હાર આપીને આઠમી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું. દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે હાર માટે બેટ્સમેનો પર દોષનો ટોપલો ઠાલવ્યો હતો, જોકે તેમણે એ પણ કહ્યું કે તેમના માટે આ સીઝન શાનદાર રહી.


મેચ બાદ અય્યરે કહ્યું, “સાચુ કહું તો આ વિકેટ એટલી મુશ્કેલ ન હતી. અમારી શરૂઆત નિરાશાનજક રહી. અમે પાવરપ્લેમાં જ બે વિકેટ ગુમાવી દીધી, જેમાંથી બહાર આવવું મુશ્કેલ હતું. તેમની પાસે શાનદાર સ્પિનર છે. કોઈપણ બેટ્સમેન ઇનિંગને આગળ ન લઈ જઈ શક્યો અને સારી ભાગીદારી ન કરી શક્યા.’



અય્યરે બેટ્સમેનો પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે, ‘કોઈપણ બેટ્સમેને ટીમને સંભાળવા અને અંત સુધી ઉભા રહેવાની પહેલ ન કરી. ભાગીદારી ન બની શકી, આ અમારા માટે નિરાશાજનક છે, પરંતુ આમાથી ઘણું શીખી શકાય છે.’

અય્યરે ઘરેલુ મેદાનની પિચને લઈને પણ ચિંતા વ્યકત કરી કે દિલ્હીએ સાત મેચમાં ચારમાં જીત અને ત્રણમાં હારનો સામનો કર્યો. ઘણી વખત દિલ્હીના પોતાના ઘર ફિરોઝ શાહ કોટલામાં એવી પિચ ન મળી જેની તેને જરૂર હતી.