નવી દિલ્હીઃ આઇપીએલ 2022ની સિઝન માટે તૈયારી શરૂ થઇ ગઇ છે. બીસીસીઆઇએ તમામ ટીમો પાસેથી રિટેન અને રિલીજ કરેલા ખેલાડીઓનુ લિસ્ટ પણ મંગાવી લીધુ છે. આ વખતે આઇપીએલમાં બે નવી ટીમો ઉમેરાઇ રહી છે, પહેલા આઠ ટીમો આઇપીએલની મેચો રમતી હતી, હવે અમદાવાદ અને લખનઉ ટીમની એન્ટ્રી થતા આઇપીએલની ટીમો વધીને કુલ 10 થઇ ગઇ છે. 


બે નવી ટીમોએ ખેલાડીઓ અને કૉચિંગ સહિત સ્ટાફની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, ત્યારે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે, અમદાવાદની ટીમ એક મોટો દાંવ રમવા જઇ રહી છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે પૂર્વ ઇન્ડિયન ટીમના હેડ કૉચ રવિ શાસ્ત્રી અમદાવાદની ટીમના કૉચ બની શકે છે. 


ક્રિકબઝના રિપોર્ટનુ માનીએ તો રવિ શાસ્ત્રી અમદાવાદ ટીમના કૉચ બની શકે છે અને તેમની સાથે સપોર્ટ કૉચ તરીકે ભરત અરુણ અને આ શ્રીધર પણ અમદાવાદ સાથે જોડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેયનો ટીમ ઇન્ડિયા સાથેનો કૉચિંગ કૉન્ટ્રાક્ટ પુરો થઇ ગયો છે અને હાલ તેમની જગ્યાએ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના હેડ કૉચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે. 


રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝીના પ્રવર્તક સીવીસી કેપિટલ્સને આ કરારને જલ્દી પુરો કરવા માટે ઉત્સુક માનવામાં આવી રહ્યુ છે, કેમ કે શરૂઆતથી જ એક ટીમ સંસ્કૃતિનુ નિર્માણ કરવા ઇચ્છે છે. 


બે નવી ટીમો ઉમેરાઇ
અમદાવાદ અને લખનઉના જોડાવવાથી આઇપીએલ 2022 સિઝનથી 10 ટીમો આમને સામને ટકરાશે. સંજીવ ગોયનકાના આરપીએસજી ગૃપે લખનઉ ફ્રેન્ચાઇઝીને 7090 કરોડમાં ખરીદી છે, જ્યારે સીવીસી કેપિટલ્સે અમદાવાદની ટીમને 5625 કરોડ રૂપિયાની રકમથી ખરીદી છે.  રિપોર્ટ મળી રહ્યાં છે કે પૂર્વ ઇન્ડિયન ટીમના હેડ કૉચ રવિ શાસ્ત્રી અમદાવાદની ટીમના કૉચ બની શકે છે.