નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતનો પરાજય થયા બાદ યુવા ખેલાડી ઋષભ પંતે હાર બાદ પહેલીવાર મૌન તોડ્યું હતું. ઋષભ પંતનાં આઉટ થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઘણો જ ગુસ્સે થયો હતો. હવે ઋષભ પંતે એક ટ્વિટ કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે.

ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વ કપ 2019ની પહેલી સેમિ-ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતની 4 વિકેટો 24 રન પર જ પાડી દીધી હતી ત્યારે હાર્દિક પંડ્યા સાથે પંતે 47 રનની ભાગેદારી કરી હતું પરંતુ ખોટો શોટ રમીને આઉટ થયો હતો.

પંતે પોતાની એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘મારો દેશ, મારી ટીમ…મારું સમ્માન. સમગ્ર દેશે જે વિશ્વાસ અને પ્રેમ એક ટીમ તરીકે અમારા પર દર્શાવ્યો છે તેના માટે ઘણો આભારી છું. અમે મજબૂતીથી પુનરાગમન કરીશું.

બીજી તરફ કેટલાક યૂઝર્સે ઋષભ પંતનાં ખરાબ શોટને ભારતની હાર માટે જવાબદાર ગણાવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ પંતનો બચાવ કરતાં કહ્યું હતું કે, તે સ્વાભાવિક ખેલાડી છે અને તેણે ખરાબ સ્થિતિમાંથી બહાર લાવવા માટે સારું કામ કર્યું છે અને હાર્દિક પંડ્યા સાથે ભાગેદારી કરી.