ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન પર રોહિત શર્માએ કર્યો ટીમનો બચાવ, જાણો શું કહ્યું.....
લોર્ડ્સના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને ઈનિગ્સ અને ૧૫૯ રને કારમો પરાજય આપી પાંચ ટેસ્ટમેચની સિરિઝમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ ઈનિગ્સમાં ૧૦૭ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડે ક્રિસ વોક્સના અણનમ ૧૩૭ રન અને બેરસ્ટોના ૯૩ રનની મદદથી ૭ વિકેટના નુકસાનથી ૩૯૬ રનનો સ્કોર બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવને આધારે ઇંગ્લેન્ડે ૨૮૯ રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઊતરેલી ભારતીય ટીમ માત્ર ૧૩૦ બનાવી શકી હતી.
રોહિત શર્માએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ટીકા કરનારાઓ ભૂલે નહીં કે આ જ ટીમ છે જે નંબર વન ટીમ રહી છે. રોહિત શર્માએ કહ્યું કે, મુશ્કેલીભર્યા વાતાવરણમાં ભારતીય ટીમને સપોર્ટ કરવો જોઇએ, એનું સમર્થન કરવું જોઇએ. બીજી તરફ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને પણ કહ્યું કે, હું રોહિતની વાતથી સહમત છું. કમ ઓન ઈન્ડિયા વી કેન ડુ ઇટ.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે લોર્ડ્સમાં સીરીઝના બીજા મેચમાં ભારતનો કારમો પરાજય થયો. એવામાં ટીમ ઇન્ડિયાએ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ફેન્સ ટીમ ઇન્ડિયાના પ્રદર્શનથી ખુશ નથી ત્યારે આ મુશ્કેલ સ્થિતિમાં રોહિત શર્મા ટીમ ઇન્ડિયાના સપોર્ટમાં આવ્યો છે.