નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ક્રિકેટના સૌથી નાના ફોરમેટમાં દબાણમાં છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ મેચની ટી-20 સીરિઝની બીજી મેચ ગુરુવારે રાજકોટમાં રમાશે. સીરિઝમાં ભારતીય ટીમ 0-1થી પાછળ છે. તે સીરિઝને જીવંત રાખવા માટે મેદાનમાં પડશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. આ મેચ પર તોફાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. ભારતને દિલ્હીમાં હવા પ્રદૂષણ વચ્ચે રવિવારે પ્રથમ ટી-20 મેચમાં સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશના ખેલાડીઓ પગાર અને અન્ય મુદ્દાઓને લઇને ખેલાડીઓની હડતાલ બાદ અહી આવ્યા છે.

ભારતને છેલ્લા કેટલાક સમયમાં ટી-20 ફોરમેટમાં એવી સફળતા નથી મળી જેવી વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં મળી છે. ભારતને આ વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી-20 સીરિઝ ડ્રો રહી હતી. ભારતે ટેસ્ટ ક્રિકેટમાં સાઉથ આફ્રિકા ક્લીન સ્વીપ કર્યું હતું. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી સહિત કેટલાક સીનિયર ખેલાડીઓની ગેરહાજરમાં યુવા ખેલાડીઓ પાસે આ સીરિઝમાં પોતાની ક્ષમતા બતાવવાની તક છે.