નવી દિલ્હીઃ બીસીસીઆઈના નવા બનનારા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી છે કે તે રાષ્ટ્રીય પસંદગીકર્તાઓ સાથે મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય અંગે વાત કર્યા બાદ જ તેનો અભિપ્રાય આપશે. 39 વર્ષીય ધોની વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તે આગામી મહિને બાંગ્લાદેશ સામે ત્રણ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝમાં પણ નહીં રમે. આ સીરિઝ માટે ભારતીય ટીમની પસંદગી 24 ઓક્ટોબરે થશે.




ધોનીએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી નથી અને સિલેક્ટર્સે પણ સ્પષ્ટતા કરી છે કે તે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યો છે. ગાંગુલીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, 24 ઓકટોબરે પસંદગીકર્તાઓ સાથે વાત કર્યા બાદ હું મારો અભિપ્રાય આપીશ. હું જાણવા માંગુ છું કે પસંદગીકર્તાઓ તેના અંગે શું વિચારે છે. હું ધોની સાથે વાત કરીને તેનો અભિપ્રાય જાણવા પણ માંગીશ.



ભારતીય ટીમને 2003ની વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચાડનારા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, પદભાર સંભાળ્યા બાદ હું પસંદગીકર્તા અને કેપ્ટન સાથે વાત કરીશ. આ પહેલા પસંદગીકર્તાઓની બેઠક 21 ઓક્ટોબરે મળવાની હતી પરંતુ હવે તે 24 ઓક્ટોબરે યોજાશે. તેમાં દેવધર ટ્રોફી માટે ભારત એ, બી અને સી ટીમોની પણ પસંદગી થશે.



ગાંગુલીએ કહ્યું કે, છેલ્લા થોડા સમયથી હું ચિત્રમાં નહોતો. પસંદગી સમિતિની પ્રથમ બેઠક 24 ઓક્ટોબરે યોજાશે. હું પસંદગીકર્તા અને કેપ્ટન સાથે વાત કરીશ. નવા બંધારણ મુજબ કોચ આ બેઠકનો હિસ્સો નહીં હોય.