આ દિગ્ગજ ક્રિકેટરના કારણે ટીમ ઇન્ડિયાને મળ્યો ચાઈનામેન કુલદીપ યાદવઃ સુરેશ રૈના
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસીની રાહ જોઈ રહેલ બેટ્સમેન સુરેશ રૈનાએ ચાઈનામેન બોલર કુલદીપ યાદવના ખૂબ વખાણ કર્યા છે. રૈનાએ ઇન્ટરનેશનલ સ્તર પર કુલદીપના વખાણ કરતાં કહ્યું કે, તેના પ્રદર્શન માટે ટીમના પૂર્વ મુખ્ય કોચ અનિલ કુંબલેનો ફાળો મહત્ત્વનો હોવાનું કહ્યું છે. રૈનાએ અક કાર્યક્રમમાં કહ્યું, કુલદીપ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેનું શ્રેય અનિલ કુંબલેને જાય છે. તેણે કુલદીપ સાથે ખૂબ જ મહેનત કરી છે.
કાનપુરનો રહેવાસી કુલદીપ પોતાની પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન બાદ વન-ડેમાં ભારત માટે હેટ્રિક લેનારો ત્રીજો બોલર બન્યો છે. ઉલ્લેખનીય છે કે કુલદીપ હાલમાં જ કહ્યું હતું કે આઈપીએલમાં તેણે ઓસ્ટ્રેલિયાના ચાઈનામેન બોલર બ્રેડ હોગ સાથે રમીને ઘણું બધું શીખ્યું હતું. આ ઉપરાંત તે પોતાના આદર્શ શેન વોર્નના પણ સંપર્કમાં છે.
રૈનાએ ઓલિમ્પિયન કવિતા રાઉત સાથે ગોવા રિવર મેરાથોનનો લોગો લોન્ચ કર્યો. આ મેરાથોન 10 ડિસેમ્બરે થશે. આ અવસરે રેનાને જ્યારે યો-યો ટેસ્ટમાં નિષ્ફળ થવા વિશે પૂછવામાં આવ્યું તે તેણે કહ્યું કે, આ વિષય પર તમે BCCI સાથે વાત કરો.
રૈનાએ આગળ કહ્યું, હું કુલદીપ સાથે આઈપીએલના સમયે વાત કરતો હતો અને તે હંમેશા કુંબલેને મેસેજ મોકલતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અનિલ કુંબલેએ તેના પર ખૂબ મહેનત કરી છે. તેમણે ઓસ્ટ્રેલિયાના ચાઈનામેન બોલર બ્રેડ હોગ પાસેથી ઘણું બધું શીખ્યું છે. કુલદીપ એવો ખેલાડી છે જે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ખૂબ ફેરફાર કરશે.