મુંબઈ: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઈના નવા પ્રમુખ બને તેવી પ્રબળ સંભાવના છે. આ પહેલા રવિવારે દિવસભર અટકળો ચાલતી હતી કે, બ્રિજેશ પટેલ નવા પ્રમુખ બનશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના નવા સચિવ (સેક્રેટરી) જ્યારે અરૂણ ધૂમલ બીસીસીઆઈના નવા ખજાનચી (ટ્રેઝરર) બને તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ધૂમલ બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અને નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ છે.

બીસીસીઆઈના વિવિધ પદો માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જોકે, ચૂંટણી યોજાવાની સંભાવના નથી કારણ કે ઘણાં દિવસોથી ચાલતી લોબી બાદ બધાં પદ લગભગ નિશ્ચિત થઈ ગયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

47 વર્ષીય સૌરવ હાલમાં બંગાળના ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે. અગાઉ બ્રિજેશને એન શ્રીનિવાસનના ટેકાથી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા પરંતુ સૌરવના નામ બાદ બ્રિજેશનો દાવો ખતમ થઈ ગયો હતો.

એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, સૌરવ ગાંગુલી જો બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે ચૂંટાશે તો અમને ખૂબ આનંદ થશે. માનવામાં આવે છે કે, હવે પટેલ આઈપીએલના નવા અધ્યક્ષ બની શકે છે.