લખનઉઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપના કારણે દરેક લોકો ડરેલા છે. તમામ ઉપાયો છતાં કોરોના ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતના પૂર્વ ક્રિકેટર અને વર્તમાન યુપી સરકારના કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તેમને આજે લખનઉની સંજય ગાંધી પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે.


થોડા દિવસથી હતા બિમાર
ચેતન ચૌહાણ છેલ્લા થોડા દિવસોથી બિમાર હતા અને કોરોનાના લક્ષણ પણ જોવા મળતા હતા. જે બાદ શનિવારે સવારે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેમાં તેઓ પોઝિટિવ મળી આવ્યા. હવે ચેતનના પરિવાર અને તેને મળેલા અન્ય લોકોનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.

યુપીમાં લાગુ છે લોકડાઉન
ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા પ્રસારને જોતા રાજ્ય સરકારે અહીંયા 10 જુલાઈની રાત્રે 10 વાગ્યાથી 55 કલાકનું લોકડાઉન લાગુ કર્યુ છે.

ચેતન ચૌહાણની ઈન્ટરનેશનલ કરિયર
ચેતન ચૌહાણે ઈન્ટરનેશનલ કરિયરમાં દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર સાથે અનેક યાદગાર ઈનિંગ રમી છે. ગાવસ્કર સાથે ચેતનનો તાલમેલ અદભૂત હતો. ચેતન ચૌહાણે 40 ટેસ્ટની 68 ઈનિંગમાં 16 અડધી સાથે 2084 રન બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સક્રો 97 રન છે. જ્યારે 7 વન ડેમાં 153 રન બનાવ્યા છે.