નવી દિલ્હી: વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને વિરાટ કહોલી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની ખબરો સામે આવી હતી. ત્યારે બાદ ફરી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન રોહિતને ટીમમાં સ્થાન ન મળતા ફરી બન્ને વિવાદ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે વિરાટ કોહલીએ આ વાતને નકારી દીધી હતી અને બધુ બરાબર હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે આ મામલે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ મૌન તોડ્યું છે. રવિ શાસ્ત્રીએ પણ આ ખબરોને પાયાવિહોણી ગણાવી છે.



રવિ શાસ્ત્રીએ કહ્યું, “છેલ્લા પાંચ વર્ષથી હું ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમનો હિસ્સો છું. મને સારી રીતે ખબર છે કે બન્ને ખેલાડીઓ કઈ રીતે રમે છે. ઝગડાની વાત એકદમ ખોટી છે. ”


શાસ્ત્રીએ બધુ બરાબર હોવાનો દાવો કરતા કહ્યું કે, હું જાણું છું કે એવી કોઈ વાત નથી. જો એવું હોત તો રોહિત વર્લ્ડ કપમાં પાંચ સદી કેવી રીતે કરી શકે? બંને વચ્ચેની ભાગીદારી કેવી રીતે જોવા મળત.

શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, જે ટીમમાં તમારી પાસે 15 ખેલાડીઓ હોય છે, તમામના વિચારો અલગ અલગ હોય છે. અને તેની જરૂર પણ હોય છે. હું નથી માનતો કે બધા ખેલાડીઓના વિચારો એક સરખા હોવા જોઈએ. તમારે ખેલાડીઓને એક તક આપવી પડશે કે તેઓ ખુલ્લેઆમ પોતાની વાત બધાની સામે વ્યક્ત કરી શકે. તેમણે કહ્યું ચર્ચાઓ થવી જોઈએ અને ત્યારે જો કોઈ નવી રણનીતિ અંગે વિચારી શકે છે જેને પ્રોત્સાહન આપવું જોઈએ.