નવી દિલ્હીઃ ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડે વર્લ્ડકપ 2019ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરના અંતે જીત મેળવી પ્રથમ વખત વિશ્વ વિજેતા બન્યું હતું. જેની સાથે સતત ત્રીજી વખત યજમાન દેશે વર્લ્ડકપ જીત્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં 18 રને હાર સાથે જ ભારતીય ટીમના વર્લ્ડકપ અભિયાનનો અંત આવ્યો હતો. ભારતની હારથી કરોડો ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા હતા. પરંતુ આગામી વર્લ્ડકપને લઈને ટીમ ઈન્ડિયા અને ભારતના ક્રિકેટ રસિયા માટે સારા સમાચાર છે.




આગામી વર્લ્ડ કપ 2023માં ભારતમાં રમાશે. ભારત એકલા હાથે વર્લ્ડકપની યજમાની કરતું હોય તેવો આ પ્રથમ મોકો છે. આ પહેલા ભારતે ક્રિકેટના મહાકુંભમાં બે વખત સંયુક્ત યજમાની કરી હતી. ટીમ ઈન્ડિયા ઘર આંગણે રમતી હોય ત્યારે વધારે ખતરનાક બની જાય છે અને ગમે તેવી ધરખમ ટીમને પણ પછાડી દે છે. ઘર આંગણાની પીચનો ફાયદો પણ ટીમ ઈન્ડિયા ઉઠાવી શકે છે.



છેલ્લા ત્રણ વર્લ્ડકપના પરિણામ પર નજર કરવામાં આવે તો ભારતીય ટીમ જીતવાનું અત્યારથી જ નક્કી થઈ ગયું છે. કારણકે 2011માં ભારત વર્લ્ડ કપ જીતનારો પહેલો યજમાન દેશ બન્યો હતો. 2015માં ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની જમીન પર વિશ્વ ખિતાબ જીત્યો હતો. અને 2019માં ઈંગ્લેન્ડે પોતાની જમીન પર વિશ્વ વિજેતા થવાનો ખિતાબ જીત્યો છે. એટલે કે 2023માં  ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે.