નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની વિરૂદ્ધ બે ટેસ્ટ મેચોની સીરીઝ રમવા મેદાન પર ઉતરશે અને તેની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનું અભિયાન પણ શરૂ થઈ જશે.

આ અભિયાન પહેલા ટેસ્ટ ક્રિકેટની નવી જર્સીની સાથે કેપ્ટન વિરાટ કોહલી, અજિંક્ય રહાણે સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફોટો સેશન કરાવ્યું હતું. ટેસ્ટ ક્રિકેટની નવી જર્સીની પાછળ ખેલાડીનું નામ અને નંબર પણ લખેલો છે.

કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝની વિરૂદ્ધ છેલ્લી બે વન-ડે મેચોમાં કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ત્રણ દિવસીય અભ્યાસ મેચમાં તેણે 35 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

અભ્યાસ મેચમાં અજિંક્ય રહાણેએ પણ અડધી સદી ફટકારી પહેલી ટેસ્ટ મેચ માટે ટીમમાં પોતાની દાવેદારી રજૂ કરી હતી. રહાણેએ લાંબા સમય બાદ ભારત માટે અડધી સદી ફટકારી હતી.

ટેસ્ટ ક્રિકેટના સ્પેશલિસ્ટ ચેતેશ્વર પૂજારાએ અભ્યાસ મેચમાં સદી ફટકારી દર્શાવી દીધું હતું કે તે હજુ પણ જૂના ફોર્મમાં છે. પૂજારાએ ભારત માટે છેલ્લી ટેસ્‍ટ આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં રમી હતી.