ચેન્નઈ: ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં જળપ્રલયથી મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ મળી આવ્યા  છે. ગ્લેશિયર ફાટતાં 150થી વધુ લોકો લાપતા છે. જેની શોધખોળ ચાલી રહી છે. રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફની અને એસડીઆરએફ સહિત સેનાની મદદ લેવાઇ રહી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે રાહત અને બચાવ કાર્ય માટે પોતાના મેચની ફીસ આપવાની જાહેરાત કરી છે. પંત હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં રમી રહ્યો છે.


પંતે લોકોને પણ અપીલ કરી છે કે તેઓ મદદ કરે. પંતે ટ્વિટમાં કહ્યું કે, ઉત્તરાખંડમાં બનેલી ઘટનાને લઈ દુખ થયું. રાહત અને બચાવ માટે પોતાના મેચની ફિ આપવા માંગીશ અને વધુ લોકો મદદ કરે તેવી અપીલ કરું છું.



દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહ પણ ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડના લોકો ધીરજથી કામ લે. તમાની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.



ગ્લેશિયર તૂટવાથી ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. ગ્લેશિયર તૂટતા અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે તમામ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયા વળર આપવાની જાહેરાત કરી દીધી છે.