નવી દિલ્હીઃ ભારતીય પસંદગીકારોએ આગામી વર્લ્ડકપ માટેની ટીમમાં યુવા વિકેટકિપર રિષભ પંતના બદલે અનુભવી વિકેટકિપર-બેટ્સમેન દિનેશ કાર્તિકને પસંદ કર્યો તેના કારણે ક્રિકેટ ચાહકો નારાજ છે. જો કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ દિનેશ કાર્તિકની પસંદગીને બરાબર ગણાવી છે.


કોહલીના મતે, તણાવની પરિસ્થિતિમાં દિનેશ કાર્તિક વધુ સારી રીતે, ઠંડા દિમાગ સાથે રમી શકે છે અને આ જ કારણે તેને વર્લ્ડકપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 33 વર્ષનો દિનેશ કાર્તિક અનુભવની રીતે પણ 21 વર્ષના રિષભ પંત કરતાં ખૂબ જ આગળ છે.



કોહલીના મતે કાર્તિક વર્ષોથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતો રહ્યો છે અને આ કારણે તે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ હોય છે. બીજી તરફ પંત હજુ આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિકેટકીપર નથી અને તે પોતાની વિકેટ ફેંકી દે છે તે પણ તેનું નબળું પાસુ છે.



કાર્તિકના ભારોભાર વખાણ કરતાં કોહલીએ કહ્યું કે, જ્યારે જ્યારે તનાવની પરિસ્થિતિમાં દિનેશ કાર્તિકને રમવાનું આવ્યું છે, ત્યારે તેણે ખૂબ જ સ્વસ્થતાથી બેટીંગ કરી છે. તે દબાણમાં આવતો નથી અને ઠંડા દિમાગની રમે છે. આ બાબત તેનું જમા પાસું છે. કાર્તિકની આ કુશળતા પર બોર્ડના તમામ પસંદગીકારોને ભરોસો છે.