નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું છે. સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને 18 રનથી હાર આપી હતી. આ હારથી ફેન્સ અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ દુખી થયા હતા. ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ઇમોશનલ મેસેજ લખીને ફેન્સના તૂટેલા દિલ પર મલમ લગાવવાનો પ્રયાસ કર્યો છે. કેપ્ટન વિરાટ કોહલીથી માંડી રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે.


મેચ બાદ કેપ્ટન કોહલીએ ઇમોશનલ ટ્વિટ કરતા ફેન્સનો આભાર માન્યો હતો. કોહલીએ લખ્યું કે, સૌ પ્રથમ હું અમારા તમામ પ્રશંસકોનો આભાર માનું છું જે ટીમને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા. તમે અમારા તમામ માટે એક યાદગાર ટુનામેન્ટ બનાવી દીધી અને અમે નિશ્વિત રીતે તમારા પ્રેમને અનુભવ્યો છે. અમે તમામ નિરાશ છીએ. અમારી  પાસે જે કાંઇ પણ હતુ તે અમે આપ્યું છે. જય હિંદ.


77 રનની શાનદાર ઇનિંગ રમનારા રવિન્દ્ર જાડેજાએ લખ્યું કે, રમતને મને ક્યારેય હાર ન માનવા અને નિષ્ફળતામાંથી બેઠા થવાનું શીખવ્યું છે. પ્રશંસકો, જે મારા માટે પ્રેરણાસ્ત્રોત છે તેમને ધન્યવાદ આપી શક્યો નહીં. તમારા સહયોગ માટે ધન્યવાદ. પ્રેરણા આપતા રહો અને હું મારા અંતિમ શ્વાસ સુધી મારુ સર્વશ્રેષ્ઠ આપીશ. લવ યુ ઓલ.  જાડેજાના આ ટ્વિટમાં ટીમ ઇન્ડિયાની હારની નિરાશા જોવા મળી રહી છે. તે નિરાશ છે કે તે પોતાની ઇનિંગથી ટીમ ઇન્ડિયાને જીત અપાવી શક્યો નહોતો.


ઇજાના કારણે ટુનામેન્ટમાંથી બહાર  થઇ ગયેલ ઓપનર શિખર ધવને ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું કે, અમે શાનદાર ફાઇટ આપી. તમારી સ્પિરિટને સલામ. ફાઇનલમાં પહોંચવા બદલ કીવી ટીમને અભિનંદન. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે લખ્યું કે, ટીમના સાથી, કોચ, સપોર્ટ સ્ટાફ, ફેમિલી અને અમારા માટે સૌથી મહત્વના ફેન્સ માટે ધન્યવાદ. અમારી પાસે જે પણ હતું અમે આપ્યું છે. સ્પિનર ચહલે લખ્યું કે, અમારો એક જ ગોલ હતો વર્લ્ડકપ ચેમ્પિયન બનવાનો પરંતુ અસફળ રહ્યા. ભાવનાઓને શબ્દમાં વ્યક્ત કરી શકાય નહીં. પરંતુ હંમેશા ટીમ સાથે ઉભા રહેનારા તમામ લોકોનો દિલથી આભાર. જય હિંદ.