બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે બેંગલુરુના એમ ચિન્નસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયા આજની મેચમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને ઉતરી છે. 17 જાન્યુઆરી, 2020ના રોજએ ભારતના પૂર્વ સ્પિનર બાપુ નાડકર્ણીનું અવસાન થયું હતું. જેમને શ્રદ્ધાજંલિ આપવા ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે.

બાપુ નાડકર્ણી 86 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. નાડકરણીના જમાઈ વિજય શેખરે પીટીઆઈને કહ્યું, ‘તેમનું ઉમર સંબંધિત પરેશાનીઓને કારણે નિધન થયું.’


નાડકર્ણી ડાબોડી બેટ્સમેન અને સ્પિનર હતા. તેમણે ભારત તરફતી 41 ટેસ્ટ મેચમાં 1414 રન બનાવ્યા અને 88 વિકેટ લીધી હતી. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 43 રન આપીને છ વિકેટ રહ્યું. તે મુંબઈના ટોચના ક્રિકેટરોમાં સામેલ હતા. તેમણે 191 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં 500 વિકેટ અને 8880 રન બનાવ્યા હતા.

નાસિકમાં જન્મેલા નાડકર્ણીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દિલ્હીમાં 1955માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ પણ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 1968માં એમએકે પટૌડીની આગેવાની હેઠળ રમી હતી. તેમને સળંગ 21 ઓવર મેડન ફેંકવા માટે યાદ રાખવામાં આવે છે.

મદ્રાસ (હવે ચેન્નઈ) ટેસ્ટ મેચમાં તેના બોલિંગ આંકડા 32-27-5-0 હતાં. પાકિસ્તાન વિરુદ્ધ 1960-61માં કાનપુરમાં તેમના આંકડા 32-24-23-0 અને દિલ્હીમાં 34-24-24-1 હતાં. સચિન તેંદુલકરે ટ્વીટ કરીને નાડકર્ણીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે,’હું તમારા બોલિંગના રેકોર્ડ સાંભળીને મોટો થયો છું. મારા તરફથી શ્રદ્ધાંજલિ.’