નવી દિલ્હીઃ વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓની નજર ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થવા જઈ રહેલ વર્લ્ડ કપ પર છે. ક્રિકેટ નિષ્ણાંતો ભલે ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ જીતવાની વાત કરે પરંતુ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને વિશ્વાસ છે કે વિરાટ કોહલીની નેતૃત્વમાં જનારી ભારતીય ટીમ આ વખતે વર્લ્ડ કપ વિજેતા બનશે. ગુરુવારે મીડિયા સાથે વાત કરતાં સચિને કહ્યું કે, આ (વર્લ્ડ કપ) ભારતમાં જ આવશે. સચિને એમઆઈજી ક્લબના એક પેવેલિયનનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ પેવેલિયનનું નામ માસ્ટર બ્લાસ્ટરના નામ પર જ રાખવામાં આવ્યું છે.




સચિન તેંડુલકરે ઈંગ્લેન્ડની પિચોના વ્યવહાર વિશે જણાવ્યું કે, “અહીં બેટ્સમેનોને પસંદ પડે તેવી પિચો હશે. વર્લ્ડ કપ ગરમીઓમાં રમાવાનો છે. જ્યારે સૂર્ય મેદાન પર ચમકતો હોય અને ગરમી પડતી હોય તો અહીની પિચ પાટા બની જાય છે.”



સચિનને કહ્યું છે કે, “મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ બેટિંગ પ્રમાણે વર્લ્ડ કપમાં શાનદાર ટ્રેક બનાવડાવશે.” સચિને કહ્યું- “મને નથી લાગતું કે અહીંની સ્થિતિ બહુ અલગ હશે, શરત એટલી કે વાદળો ના હોય. વાદળોના કારણે બોલ સ્વિંગ થઈ શકે છે. આવું થશે તો પણ લાંબા સમય માટે નહીં, શરુઆતની કેટલીક ઓવરો સુધી જ બસ.” વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલના પ્રદર્શનને લઈને સચિને કહ્યું- “કોઈ પણ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે છે. તમે કોઈ પણ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરો તો તે મહત્વનું હોય છે.”