વિશાખાપટ્ટનમઃ ભારત અને દક્ષિણ આફ્રિકા  વચ્ચે 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચ શરૂ થશે. આ ટેસ્ટ માટેની ભારતીય ટીમમાંથી ઋષભ પંતને પડતો મૂકવામાં આવ્યો છે અને તેના બદલે રિધ્ધિમાન સાહા વિકેટકીપિંગ કરશે.


ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પહેલાંની પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે, સાહા વર્લ્ડનો બેસ્ટ વિકેટકીપર છે એવું મારું માનવું છે અને તેને જ્યારે તક મળી ત્યારે તેણે બેટ વડે પણ યોગદાન આપ્યું છે. સહા ઇજાના લીધે ટીમની બહાર થયો હતો પણ હવે આવતીકાલની મેચમાં વિકેટકીપર તરીકે ફરજ નિભાવશે.

કોહલીએ કહ્યું કે, ઇજામાંથી પરત ફરવા માટે અમે રીધ્ધીમાન સાહાને પૂરતો સમય આપવા માગતા હતા તેથી તેને વિન્ડીઝ સામે રમાડવામાં આવ્યો ન હતો. તે સારી બેટિંગ કરી રહ્યો હતો અને કીપિંગ પણ યોગ્ય રીતે કરી રહ્યો હતો. પરંતુ અમે તેને વધુ સમય આપવા માગતા હતા.

કોહલીએ કહ્યું કે,  હવે સમય આવી ગયો છે કે સાહા પોતાનું સ્થાન પાછું લે. સહા  ટેસ્ટમાં અમારો ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર છે, તેણે દબાણમાં પણ સારો દેખાવ કરી બતાવ્યો છે. સાહા પોતાની અંતિમ ટેસ્ટ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ખાતે જાન્યુઆરી 2018માં રમ્યો હતો. તે પછી તે ઇજાના લીધે ટીમની બહાર થયો હતો.