Southampton Weather Update: ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટન શહેરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પહેલા બે દિવસની રમત વરસાદ અને ઓછા પ્રકાશના કારણે અટકાવવી પડી હતી. હવે આજે ત્રીજો દિવસ છે, અને ફેન્સ સાઉથેમ્પ્ટનમાં વરસાદ વિઘ્ન ના બને અને મેચ આખો દિવસ રમાય તેવી આશા રાખી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે જાણકારી આપી છે કે આજે સાઉથેમ્પ્ટનમાં આખો દિવસ હવામાન બિલકુલ સાફ રહેશે, અને વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. 


ગુરુવારે જ સાઉથેમ્પ્ટનમાં સતત વરસાદ વરસી રહ્યો હતો, શુક્રવારે ડબ્લ્યૂટીસી ફાઇનલનો પ્રારંભ થયો, પરંતુ મેચનો પહેલો દિવસ વરસાદના કારણે પ્રભાવિત થયો. શુક્રવારે એકપણ બૉલ ફેંકાયા વિનાજ દિવસની રમત રદ્દ કરી દેવામાં આવી હતી. શનિવારે પણ મેચ શરૂ થયા બાદ અડધા દિવસની રમત રદ્દ કરવી પડી હતી, કેમકે પ્રકાશ ઓછો હતો. ખરાબ લાઇટના કારણે એમ્પાયરોએ 64.4 ઓવર બાદ બીજા દિવસની રમત પુરી થવાની જાહેરાત કરી દીધી હતી.  


રવિવારે સાઉથેમ્પ્ટનમાં ફક્ત હવામાન જ સારુ નહીં રહે પરંતુ સાથે સાથે તડકો પણ નીકળવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આશા છે કે ત્રીજા દિવસની રમત 98 ઓવર સુધી રમાય. જોકે, ખાસ વાત છે કે આઇસીસીએ ફાઇનલ ટેસ્ટમાં વરસાદ અને હવામાનને ધ્યાનમાં રાખીને રિઝર્વ ડે રાખ્યો છે. 


રિઝર્વ ડેમાં જશે મેચ- 
આઈસીસીએએ જોકે સાઉથેમ્પ્ટનના હવામાનને જોતા પહેલા જ રિઝર્વ ડે રાખવાનો નિર્ણય કર્યો હતો. પહેલા દિવસે જે રમત બર્બાદ થઈ તેની ભરપાઈ આગામી ચાર દિવસમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જો ચાર દિવસમાં પણ કોઈ પરિણામ નહીં આવે તો તેને રિઝર્વ ડેના દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.


આઈસીસીએ જાણકારી આપી છે કે આગામી ચાર દિવસમાં દરરોજ 90ની જગ્યાએ 98 ઓવરની રમત રમાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. પછી જે ઓવર વધશે તેના માટે રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. રિઝર્વ ડેના દિવસે પણ જો કોઈ પરિણામ ન આવે તો પછી મેચ ડ્રો જાહેર કરવામાં આવશે. ડ્રોની સ્થિતિમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની સંયુક્ત વિજેતા ટીમ બની જશે.


ભારતીય ટીમ --- 
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્નિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી.


ભારતની સારી શરૂઆત....
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને ભારતીય ટીમને સાઉથેમ્પ્ટનના મેદાનમાં પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમ સારી શરૂઆત કરતા ત્રણ દિવસના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવીને 146 રન બનાવી લીધા હતા. ભારત તરફથી રોહિત શર્મા 34 રન, શુભમન ગીલ 28 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલી 44 રન અને અજિંક્યે રહાણે 29 રન બનાવીને અંત સુધી રહ્યાં હતા. જોકે ભારત માટે મિસ્ટર વિશ્વાસનીય ખેલાડી ગણાતો ચેતેશ્વર પુજારા ફાઇનલમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો.