નવી દિલ્હીઃ વિજય હઝારે ટ્રોફી 2019ની સેમીફાઈનલ્સિટના ચાર નામ નક્કી થઈ ગયા છે. જોકે સોમવારે તમિલનાડુ અને છત્તીસગઢ મેચ રમ્યા વગર સેમીફાઈનલમાં પહોંચવા પર સવાલ ઉભા થયા છે. આ મામલે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ યુવરાજ સિંહ અને હરભજન સિંહે બીસીસીઆઈના નિયમ પર સવાલ ઉભા કર્યા છે અને ભડક્યા છે.


મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના ડકવર્થ લુઈસ નિયમોના કારણે પંજાબ ટીમને વિજય હજારે ટ્રોફીથી બહાર થવું પડ્યું છે. જેને લઈને યુવરાજ સિંહે બીસીસીઆઈના આ નિયમને લઈને સવાલ ઉભા કર્યા છે. ત્રીજા ક્વાર્ટર ફાઇનલ મેચમાં ડકવર્થ લુઇસ નિયમ મુજબ પંજાબને જીત માટે 39 ઓવરમાં 195 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પંજાબે 12.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 52 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારે જ ધોધમાર વરસાદ થતા મેચને રોકવામાં આવી હતી અને અંતે વિરોધી ટીમ તમિલનાડુને વિજેતા જાહેર કરવામાં આવી અને પંજાબ સેમીફાઈનલની રેસમાંથી બહાર થયું.



યુવરાજે સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ કરીને નિરાશા વ્યક્ત કરી. તેને લખ્યું કે,‘વિજય હજારે ટુર્નામેન્ટમાં તમિલનાડુ સામે પંજાબ અનલકી રહી. ખરાબ મોસમના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો. આપણી પાસે રિઝર્વ ડે હોવા જોઈએ. શું સ્થાનિક ટુર્નામેન્ટ બીસીસીઆઈ માટે કોઈ મહત્વ નથી ધરાવતા?’ યુવરાજ સિંહની પોસ્ટ બાદ હરભજન સિંહે પણ બીસીસીઆઈના આ નિયમની ટીકા કરી છે અને નિરાશા વ્યક્ત કરતા તેને પણ રિઝર્વ ડેની વાત કરી છે.