નીતિન પટેલના સુરતના કાર્યક્રમને લઈને હાર્દિક પટેલે શું આપી ચિમકી?
આ ઉપરાંત હાર્દિકે આગામી કાર્યક્રમોની વાત કરતાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં યોગીચોક ખાતે સભાનું આયોજન કરવાનું નક્કી થયું છે. સરકાર દ્વારા પરમીશન આપવામાં આવશે અને પોલીસ તંત્રની પરમીશન હશે તો સભા કરીશું. નહીંતર ગામે ગામ હાલ લોક જાગૃતિ ફેલાવવાનું આયોજન કરાઇ રહ્યું છે. સમાજહિતની વાત કરનારની સાથે પાટીદારો રહેશે. જો ભાજપ સરકાર સમાજહિતની વાત કરશે તો તેની સાથે રહીશું.
સુરતઃ આજે હાર્દિક પટેલ સુરત ખાતે ક્રાઇમ બ્રાંચમાં હાજરી આપવા માટે આવ્યો હતો. ત્યારે હાર્દિકે આગામી ચોથી માર્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યક્રમને લઈને ચિમકી ઉચ્ચારી હતી. ક્રાઈમ બ્રાંચમાં હાજરી નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં હાર્દિકે સરકાર દ્વારા પાટીદારોમાં ભાગલા પડાવવાની કોશિષ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
આનો ઉલ્લેખ કરતા હાર્દિકે ઉમેર્યું હતું કે, અમિત શાહની સભાનો જે રીતે વિરોધ કરાયો તેમ નીતિનભાઈ પટેલની સભાનો વિરોધ કરાશે અને બાદમાં જો કોઈ નિર્દોષ યુવકોની સરકાર ધરપકડ કરશે, તો જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેના માટે સરકાર અને નીતિનભાઈ જવાબદાર રહેશે.
હાર્દિકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતી, સૌરાષ્ટ્ર, લેઉઆ કડવાના નામે સરકાર ભાગલા પાડવાની રાજનીતિ કરી રહી છે અને આગામી ચાર તારીખે ઉત્તર ગુજરાતીના નામે જે સંમેલન થવાનું છે, તેમાં પણ ભાગવા પાડવાની રાજનીતિ દેખાઈ રહી છે. જેનો પાટીદારો વિરોધ કરશે.
હાર્દિકે ચિમકી આપતાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતીના નામે પાટીદારોમાં ભાગલા પડાવવાની સરકાર દ્વારા કોશિષ કરવામાં આવશે, તો સુરતમાં અમિત શાહની સભામાં જે રીતે ધમાલ મચી હતી તેવી ધમાલ નીતિનભાઈની સભામાં મચશે. સાથે જ સરકાર ફરી કાયદાકીય સકંજામાં લેવાનું આયોજન કરતી હોવાનું હાર્દિકે જણાવ્યું હતું.
હાર્દિકની ધરપકડની વોરંટની અરજી કરવા અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, હું બધે હાજર રહી શકતો નથી. અમારા વકીલ હોય છે, પરંતુ મારા વિરુધ્ધ કોર્ટમાં જે રીતે સરકારી વકીલે અરજી કરી છે તે જોતા લાગે છે કે, સરકાર ફરીથી કાયદાના સકંજામાં લેવાનું આયોજન કરી રહી છે અને ફરીથી ધરપકડ થાય તેવા નિર્દેશો મળી રહ્યાં છે.