હવે કોળી સમાજ મેદાને, સુરતમાં સંમેલન કરીને શું કર્યો હુંકાર?
સીમાડા કોળી સમાજના અગ્રણી સન્નીએ જણાવ્યું હતું કે, કોળી સમાજ સૌ પ્રથમવાર એક મંચ પર આવ્યો છે. ત્યારે હવે પછીના સમયમાં સમાજને એક તાંતણે બાંધી રાખવા માટે વર્ષમાં અનેક વખત નાના મોટા કાર્યક્રમો આપવામાં આવશે.
આ ઉપરાંત ખેમચંદ કોળીએ જણાવ્યું હતું કે, દેશમાં નિ:સ્વાર્થ ભાવે સેવા કરનારાઓની બહુ જરૂર છે. કારણ કે નિ:સ્વાર્થ ભાવે સેવા કરનારાઓ જ આગળ આવતા હોય છે. તેના કારણે આપણા સમાજમાંથી પણ 1010 લોકોને તૈયાર કરવાની જરૂર છે. તેઓ સમાજને જ્યારે પણ જરૂર પડે ત્યારે સેવા કરવા તૈયાર થઇ જાય. આવા યુવાનોને તૈયાર કરવામાં આવવા જોઇએ તેવી હાકલ તેઓએ કરી હતી.
સંસદીય સચિવ હીરા સોલંકીએ જણાવ્યું છે કે, કોઇ પણ વ્યક્તિ સમાજના કારણે જ આગળ આવતો હોય છે. હું પણ જે જગ્યા પર છું તેમાં સમાજનો બહુ મોટો ફાળો રહેલો છે. તેથી સમાજને અન્યાય થાય તે કોઇ પણ રીતે ચલાવી શકાય નહીં તેના લીધે સમાજના તમામ લોકોએ એક થવાની જરૂર છે.
સુરત: આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વિવિધ સમાજના સંમેલનનાં દોર શરૂ થયો છે. તેમાં સીમાડા ખાતે સમસ્ત કોળી સમાજ એકતા મંચના નેજા હેઠળ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કરસન પટેલે જણાવ્યું હતું કે કોળી સમાજ 53 પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે. પરંતુ અત્યાર સુધી તેઓ એક મંચ પર આવી શક્યા નથી. જ્યારે પહેલી વખત એક મંચ પર તમામ પેટા જ્ઞાતિ આવી છે. ત્યારે આ સમાજની ઉપેક્ષા કરવી મુશ્કેલ થઇ શકે તેમ છે.
સીમાડા બીઆરટીએસ રૂટ પર આવેલા રિધ્ધિ સિધ્ધિ ફાર્મમાં યોજાયેલાં સંમેલનમાં ટંકાર કરવામાં આવ્યો હતો કે, રાજ્યની 182 વિધાનસભાની બેઠકો પર 60 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. જેથી સમાજની ઉપેક્ષા કરનારને હવે બતાવી દેવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત કેટલાક લોકો કોળી સમાજ પર ટીપ્પણી કરીને હાંસી ઉડાવતા હોય છે. તેઓને પણ કોળી સમાજની એકતાનો પરચો બતાવવાની જરૂર છે.