‘પહેચાન કૌન? ’, સુરતમાં મૂકાયેલી આ નરેન્દ્ર મોદીની પ્રતિમાની સોશિયલ મીડિયા પર ઉડી રહી છે કેવી મજાક? જાણો
સુરતઃ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું આજે ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી આજે સુરતમાં પધારવાના છે ત્યારે તેમને આવકારવા માટે સુરતમાં મોદીની 22 ફૂટ ઉંચી પ્રતિમા મૂકાઈ છે. આ પ્રતિમા એટલી વિચિત્ર બનાવાઈ છે કે તે સોશિયલ મીડિયા પર મજાકનું પાત્ર બની ગઈ છે.
સુરતના એક પ્રતિષ્ઠિત અખબારમાં તો એવો અહેવાલ પણ છપાયો છે કે, આ પ્રતિમાનો ચહેરો મોદીને મળતો નથી આવતો તેનું ધ્યાન જતાં તાબડતોબ પ્રતિમાને ઢાંકીને તેનો ચહેરો સરખો કરવા પ્રયાસ કરાયો હતો. જો કે આ કામ સરળ નથી તે જોતાં એ પછી જે પ્રતિમા મૂકાઈ તેનો ચહેરો પણ મોદીને મળતો નથી આવતો.
આ પ્રકારનો વિવાદ કમનસીબ ગણાય પણ ભાજપના જ કેટલાક નેતાઓ પણ આ પ્રતિમાથી નારાજ છે. પ્રધાન મંત્રી જેવી મહાન હસ્તીની પ્રતિમા બનાવતી વખતે પણ પૂરતું ધ્યાન ના રખાયું તેના કારણે આ પ્રકારની હાસ્યાસ્પદ સ્થિતીમાં મૂકાવું પડ્યું તેવો બળાપો પણ ભાજપના નેતાઓએ કાઢ્યો હતો.
સેલ્ફી સ્ક્વેર પર સેલ્ફી સ્કવેર પર મૂકવામાં આવેલી આ પ્રતિમાનો આકાર એવો વિચિત્ર છે કે ઘણાં લોકો મજાક કરે છે કે, આ નરેન્દ્ર મોદીનું નહીં પણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું પૂતળું છે. બીજી તરફ ભાજપના લોકોનો દાવો છે કે આ પૂતળું નરેન્દ્ર મોદીનું છે પણ પૂતળું જોતાં એવું લાગતું નથી.
આ પ્રતિમાને અનુલક્ષીને સોશિયલ મીડિયા પર વિચિત્ર કોમેન્ટ્સનો મારો ચાલી રહ્યો છે. આ પૈકી ‘પહેચાન કૌન? ’ એવી ટેગલાઈન સાથેની પોસ્ટ અત્યંત વાયરલ થઈ છે. આ સિવાય સોશિયલ મીડિયા પર બીજી પણ કોમેન્ટ્સનો મારો ચાલી રહ્યો છે અને તે પૈકી કેટલીક કોમેન્ટ્સ ગૌરવપ્રદ પણ નથી.