સુરતઃ હિતેશ અપમૃત્યુ કેસમાં શકમંદ જ્યોતિએ કરી જામીન અરજી, જાણો ક્યાં છે જ્યોતિ? કોણે કરી તેને મદદ?
છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ જ્યોતિને શોધી રહી છે અને જ્યોતિની ભાળ મળતી નથી. જ્યોતિને શોધવા માટે પોલીસે તેના ઘરે એક મહિલા કોન્સ્ટેબલને પણ બેસાડી છે. આ મહિલા કોન્સ્ટેબલ 24 કલાક જ્યોતિના ઘરે હાજર રહે છે પણ જ્યોતિનો પત્તો લાગ્યો નથી તે જોતાં તે મુંબઈમાં હોવાની વાત સાચી લાગે છે.
જ્યોતિ અત્યારે ક્યાં છે તે સ્પષ્ટ નથી પણ શહેરભરમાં એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે શહેરના એક અગ્રણી બિલ્ડરનો સહકાર લઈ જ્યોતિ મુંબઈ નાસી છૂટી છે. મુંબઈમાં જ્યોતિ માટે રહેવા જમવાની વ્યવસ્થા બિલ્ડરે કરી આપી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ બિલ્ડર સુરતમાં અગાઉ પણ વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે.
સુરતઃ સુરતના બિલ્ડર હિતેશ દેસાઈના આપઘાત કેસમાં શંકાના દાયરામાં આવેલી હિતેશની પ્રેમિકા જ્યોતિ સોલંકી આખરે પોતાના બચાવ માટે મેદાનમાં આવી છે અને તેણે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં જ્યોતિએ પોતાની સામે પોલીસ દુષ્પ્રેરણાનો ગુનો નોંધશે તેવો ભય વ્યક્ત કર્યો છે.
હિતેશ દેસાઈ અપમૃત્યુ કેસમાં જ્યોતિ સોલંકીનું નામ બહાર આવ્યા પછી, પોતાની સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી દઈ સંડોવી દેવામાં આવે તેવી આશંકા લાગતાં જ્યોતિ પલાયન થઈ ગઈ છે. છેલ્લા પખવાડિયાથી ગાયબ જ્યોતિએ વકીલ જયેશ ભંડારી મારફત આગોતરા જામીન અરજી દાખલ કરી છે.
હિતેશ અપમૃત્યુ કેસમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી જ્યોતિના નિવેદન માટે નવસારી પોલીસે દોડધામ કરી છે. જ્યોતિનું નિવેદન કેસમાં ઘણું મહત્વનું માનવામાં આવે છે અને તેથી નવસારી પોલીસે તેના ઘરે નોટીસ સુદ્ધાં ચોંટાડીને તેને નિવેદન માટે હાજર થવા તાકિદ કરી હતી પણ જ્યોતિ હાજર નહોતી થઈ.
જ્યોતિની આગોતગા જામીન અરજી અંગે શુક્રવારે સુનાવણી થાય તેવી શક્યતા છે. આ કેસમાં જ્યોતિની સંડોવણી અંગે કોઈ પુરાવા નથી પણ તેની પૂછપરછ કરવામાં આવે તો ઘણી વિગતો બહાર આવે તેવી શક્યતા નકારાતી નથી. આ સંજોગોમાં જ્યોતિની આગોતરા જામીન અરજીનું શું થાય છે તે જોવાનું રહે છે.