સુરતઃ હિતેશ દેસાઈએ આપઘાત નહોતો કર્યો તેવી શંકા ઉપજાવે તેવું શું પોલીસને હાથ લાગ્યું ? જાણો વિગત
સુરત: સુરતના હિલ્ડર હિતેશ દેસાઈ(રબારી)એ 22 જૂને રાત્રે મટવાડના ફાર્મ હાઉસમાં આપઘાત કર્યો તે મામલે નવો વળાંક આવ્યો છે. હિતેશે જે ખુરશી પર બેસીને આપઘાત કર્યો હોવાનું કહેવાય છે તે ખુરશીની પાસે જ એક ધડાકો થયો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે તેવું બહાર આવતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
એફએસએલે શરૂઆતમાં જે નમૂનાં લીધાં હતાં, તેના રિપોર્ટ હજુ આવ્યા નથી. હિતેશ દેસાઇની સુસાઇડ ચેર પાસેથી પોલીસને સિગારેટનું બોક્સ અને એક લાઇટર પણ મળી આવ્યું હતું. આપઘાત કરતાં પહેલાં હિતેશ સિગારેટો પીધી હતી. ખુરશી પાસેથી સિગરેટનાં ઠૂંઠાં પણ મળી આવ્યાં હતાં. એક કલાક સુધી હિતેશ ખુરશી પર જ બેસી રહ્યો હતો.
પોલીસનું માનવું છે કે ફાર્મ હાઉસ વિશે જાણકાર વ્યક્તિને ખબર જ હોય કે સીસીટીવી કેમેરા ક્યાં લાગ્યા છે. આવી વ્યક્તિ કેમેરાની રેન્જમાં આવ્યા વગર જ હિતેશ સુધી પહોંચી શકે એમ હતી. પોલીસે આ કેસમાં વધુ માહિતી મેળવવા ગાંધીનગર એફએસએલની મદદ લીધી છે.
હિતેશે પોતાના હાથે રિવોલ્વર ચલાવી હોય તો સીસીટીવી કેમેરામાં જે પ્રકાશ દેખાય છે તેટલો પ્રકાશ ફાયરિંગથી થાય કે કેમ, એવા સવાલ ઊભા થયા છે. હિતેશ બેઠો હતો તે ખુરશીની ચારે બાજુ લોહીના છાંટા ઉડ્યા હતા, શું કપાળ પર રિવોલ્વર ચલાવવાથી લોહીના છાંટા આટલા દૂર ઉડી શકે કે કેમ, તે મુદ્દો પણ શંકા ઉપજાવે છે.
સીસીટીવી કેમેરામાં હિતેશ સિવાય બીજી કોઈ વ્યક્તિ દેખાતી નથી, એટલે પોલીસની પ્રાથમિક તબક્કે એવું માની લેવાયું હતું કે, આ ઘટના માત્ર આપઘાત જ છે, પરંતુ હવે પોલીસે અન્ય દિશામાં પણ તપાસ શરૂ કરી છે. રાત્રે 01:22 વાગ્યે ફાર્મહાઉસની લોબીમાં ધમાકો થયો તે ફાયરિંગનો જ છે કે કેમ તે અંગે પણ પોલીસને શંકા છે.
હિતેશે લમણે પિસ્તોલ મૂકી ફાયર કર્યું હોય તો આવો ધડાકો ન થાય તેવું જાણકારોનું કહેવું છે. તેના કારણે પોલીસે બીજી શક્યતાઓ અંગે તપાસ કરવી પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. હિતેશ જે ખુરશી પર બેસીને આપઘાત કર્યો તે ખુરશી ફરતે જે પ્રકાશ કેમેરામાં કેદ થયો છે તે જોતાં અન્ય હથિયારનો ઉપયોગ થયો હોવાની શંકા છે.