સુરતઃ વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાતનો કર્યો પ્રયાસ, પોલીસ કમિશ્નર કચેરીમાં જ પીધી દવા
મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં પત્ની અને બે બાળકોના પરિવાર સાથે રહેતો કમલેશ સોની ભંગારનો વેપારી છે. રવિવારે અચાનક તે પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયો હતો. ત્યાર બાદ ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી ગયો હતો. જેથી તેની તાત્કાલિક પોલીસ વાહનમાં જ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો.
કમલેશ સોનીએ પોલીસ કમિશનર કચેરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ પરિવારને થતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા છે. પરિવારના ચહેરા પર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસ કમિશનર કચેરીમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે. યુવકને તાત્કાલિક પોલીસ વાહનમાં જ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ડીસીપી, એસીપી સહિતનો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા છે.
આપઘાતનો પ્રયાસ કરનાર કમલેશની પત્ની કંચનબેન સોનીએ જણાવ્યું હતું કે, ડિંડોલી વિસ્તારમાં શશિવાલ નામના વ્યકિત પાસેથી કમલેશે 1 લાખ રૂપિયા લીધા હતા. 1 લાખ સામે 75 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે, શશિવાલ દ્વારા હજુ એક લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. જેથી એક ફેબ્રુઆરીના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી.
સુરતઃ શહેરના સરથાણામાં પટેલ યુવકે વ્યાજખોરોના ત્રાસથી પરિવાર સહિત આપઘાત કર્યાની ઘટના તાજી છે ત્યાં જ એક યુવકે પોલીસ કમિશનર કચેરીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.