સુરતની સ્કૂલની દાદાગીરીઃ પિતાને ફોન કરી કહ્યું, ફી આપી બાળક લઈ જાવ, જાણો પછી શું થયું?
આ પછી વિપુલભાઈએ ઉમરા પોલીસ મથકમાં રુંઢ-મગદલ્લા ખાતે આવેલી પી. આર. ખાટીવાલા સ્કૂલના પ્રિન્સિપાલ શકુંતલાબહેન વશિષ્ઠ અને વર્ગ શિક્ષિકા મનીષાબેને સિનિયર કે.જી.માં અભ્યાસ કરતા 4 વર્ષીય તેમના પુત્ર દિવ્યેશને ગોંધી રાખ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015ની કલમ 75 તેમજ આઈપીસીની કલમ 342 અને 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત: શહેરની એક પ્રાઇવેટ સ્કૂલની દાદાગીરીની ઘટના સામે આવી છે. વાલીએ પૂરતી ફી ન ભરતા 4 વર્ષના બાળકને વર્ગખંડમાં ગોંધી રાખી શાળા છૂટી ગયા બાદ પણ ઘરે જવા જ ન દીધો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીના પિતાને ફોન કરી ફી ભરી જાવ અને બાળકને લઈ જાવ, તેવું કહેવામાં આવ્યું હતું. જોકે, પિતાએ પોલીસની મદદ માગતાં બાળકને મુક્ત કરાવી પિતાને સોંપ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવી વિગત પ્રમાણે વિપુલભાઈનો પુત્ર દિવ્યેશ પી.આર. ખાટીવાલા સ્કૂલના સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. જેની વાર્ષિક ફી રૂ. 24,000 છે. જેમાંથી રૂ. 8,000 વિપુલભાઈએ ભરી દીધા હતા. રૂ. 16,000 ચૂકવવાના બાકી હતી. દરમિયાન વિપુલભાઈનાં માતાનું નિધન થતાં તે સમયસર ફીની બાકીની રકમ ભરપાઈ કરી શક્યા ન હતા.
આ અંગેની વિગત એવી છે કે, અલથાણ કેનાલ રોડ પરના કોરલ હાઈટ્સ બિલ્ડિંગમાં રહેતા કાપડના વેપારી વિપુલભાઈ બારિયાનો પુત્ર દિવ્યેશ પી. આર. ખાટીવાલા સ્કૂલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. સોમવારે સવારે 7 વાગ્યે દિવ્યેશ વાન મારફતે શાળાએ ગયો હતો. સવારે સાડા આઠ વાગ્યે દિવ્યેશના વર્ગ શિક્ષિકા મનીષાબહેનનો ફોન આવ્યો હતો પણ તે વિપુલભાઈ રિસિવ કરી શક્યા ન હતા.
સ્કૂલના આવા ઉદ્ધત વર્તનથી ગભરાયેલા વિપુલભાઈએ કન્ટ્રોલરૂમમાં ફોન કરી પોલીસની મદદ લીધી હતી. જેથી ઉમરા પોલીસની ટીમ સ્કૂલ પર પહોંચી હતી. પોલીસની હાજરીમાં વિપુલભાઈએ શાળાના પ્રિન્સપાલ શકુંતલાબહેન વશિષ્ઠનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ જ્યાં સુધી ફી ભરપાઈ નહીં કરો ત્યાં સુધી તમારા પુત્રને શાળામાંથી રજા નહીં અપાય તેમ કહ્યું હતું. અંતે પોલીસે શાળાના રૂમમાં ગોંધી રાખેલા દિવ્યેશને મુક્ત કરાવી પિતાને સોંપ્યો હતો.
સવારે સાડા દસ વાગ્યે સ્કૂલવાન ચાલક દિવ્યેશને લેવા શાળા પર ગયા તો તેના વર્ગશિક્ષિકાએ દિવ્યેશને આજે ઘરે મોકલવાનો નથી અને શાળા પર જ રાખવાનો છે તેવું કહ્યું હતું. જેની જાણ વાન ચાલકે વિપુલભાઈને ફોન મારફતે કરી દીધી હતી. જેથી વિપુલભાઈ સ્કૂલે જવા નીકળતા હતા, ત્યારે જ શિક્ષિકાને ફોન કર્યો હતો, પરંતુ તેમણે રિસિવ કર્યો ન હતો. રસ્તામાંથી બીજીવાર ફોન કર્યો તો શિક્ષિકા સાથે વાત થઈ હતી. જેમાં શાળાની ફી બાકી છે તેથી દિવ્યેશને ઘરે મોકલાવ્યો નથી, ફી ભરી જાવ અને બાળકને લઈ જાવ, તેમ જણાવ્યું હતું.