સુરતઃ NH-56 પર લક્ઝરી બસનો અકસ્માત, બેના મોત, 12થી વધુ ઘાયલ
સુરતઃ નેશનલ હાઈ-વે 56 ઉપર કિકવાડ ગામ નજીક વહેલી સવારે ખાનગી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે. જ્યારે 12થી વધુ ઘાયલ થયા છે. બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે વહેલી સવારે મહારાષ્ટ્રથી અમદાવાદ જતી સાગર ટ્રાવેલર્સની બસ નેશનલ હાઈ-વે 56 પર બારડોલી તાલુકાના કિકવાડ ગામ નજીક પલટી મારી ગઈ હતી. જેમાં 2 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બસ 56 જેટલા મુસાફરોને લઇ અમદાવાદ જઇ રહી હતી. વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યાના અરસામાં બનેલી આ દુર્ઘટના બાદ મુસાફરોની ચિચિયારીથી લોકો દોડી આવ્યા હતા.
લોકોની મદદથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા. ત્યારબાદ 108ની મદદથી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં યોગેશ ગુલાબ ભાલેરાવ અને રાજુ બાબુલ નામના મુસાફરનું કરૂણ મોત થયા હતા.