નવી દિલ્હીઃ  ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપને  આધાર સાથે લિંક કરવાના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે  સુનાવણી થશે. આજે તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી  કહ્યુ હતું કે કેસની મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી કરવા દેવામાં આવે. મદ્રાસ હાઇકોર્ટ, બોમ્બે હાઇકોર્ટ અને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં દાખલ જનહિત અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર માટે ફેસબુકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીઓમાં ફેસબુક, વોટ્સએપ જેવી સોશિયલ સાઇટ પર આપતિજનક પોસ્ટ કરનારાઓની તરત ઓળખ થઇ શકે તે માટે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે.


છેલ્લી સુનાવણીમાં 20 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલામાં કેન્દ્ર સરકાર, ગુગલ, ટ્વિટર અને યુટ્યુબને નોટિસ જાહેર કરી હાઇકોર્ટમાં પેન્ડિંગ તમામ મામલામાં સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે તેમનો જવાબ માંગ્યો જેથી એ નક્કી કરી શકાય કે શું સોશિયલ નેટવર્કિગ સાઇટ્સને ગુનેગારો સાથે સંબંધિત જાણકારી પોલીસ સાથે શેર કરવા માટે બાધ્ય કરી શકાય.

મદ્રાસ હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો હતો. સુનાવણીમાં તમિલનાડુ રાજ્ય માટે એર્ટોની જનરલ કે કે વેણુગોપાલે આતંકવાદ અને પોર્નોગ્રાફી સહિત ગુનાહિત મુદ્દાને ટાંક્યા હતા. ફેસબુક અને વોટ્સએપે સુપ્રીમ કોર્ટને પૂછ્યુ હતું કે, શું તેમને ગુનાહિત તપાસમાં મદદ કરવા માટે તપાસ એજન્સીઓને ડેટા અને જાણકારી શેર કરવા માટે મજબૂર કરી શકાય છે.

સોશિયલ નેટવર્કિગ સાઇટ્સે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેમના વિરુદ્ધ પસાર કોઇ પણ આદેશનો વૈશ્વિક અસર થશે. એટલા માટે કોર્ટે આ પ્રકારે એક મહત્વપૂર્ણ મુદ્દા પર નિર્ણય કરવો જોઇએ અને વિવિધ હાઇકોર્ટમાં પેન્ડિંગ તમામ મામલાને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા જોઇએ.

એર્ટોની જનરલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, એક આઇઆઇટી પ્રોફેસરનું કહેવું છે કે ઓરીજીનેટરની ઓળખ કેવી રીતે કરી શકાય છે. તેમણે બ્લૂ વ્હેલ ગેમનો પણ ઉલ્લેખ કર્યો. ઓરીજીનેટરની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ હતી. ભારત સરકાર આજ સુધી તેને લઇને સંઘર્ષ કરી રહી છે. તેમણે કહ્યુ કે, ફેસબુક પોતે માને છે કે તેમની પાસે ઓરીજીનેટરની ઓળખ કરવા માટે કોઇ તંત્ર નથી.