નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટના કારણે દેશના ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે ખેડૂતો પોતાના પાકને યોગ્ય રીતે વેચી શકતા નથી, આ મામલાને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ખેડૂતોને મદદ કરવા માટે એક ખાસ એપ લૉન્ચ કરી છે.


મોદી સરકારે ખેડૂતો માટે 'કિસાન રથ' નામની એપ લૉન્ચ કરી છે. આ મોબાઇલ એપથી ખેડૂતોને ખાસ ફાયદો થશે, ખેડૂતોને પોતાનો માલ મંડીઓ સુધી પહોંચાડવા માટે આસાની રહેશે.



'કિસાન રથ' એપ મારફતે ખેડૂતો અને વેપારીઓ પાકનુ ખરીદ-વેચાણ આસાનીથી કરી શકશે. આમાં માલ ભરનારા વાહનો અને ટ્રાન્સપોર્ટરોથી લઇને ખેતીના પાકની તમામ માહિતીઓ મળી શકશે, ખેડૂતો પોતાની ગાડીનુ રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે. તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોની આર્થિક ગતિવિધિઓને પાટા પર લાવવા માટે મદદ અને પ્રાથમિક જરૂરિયાતોની વાત કહી હતી, હવે સરકાર તેને લાગુ કરી રહી છે.