નવી દિલ્હીઃ ભારતની તમામ ટેલીકોમ કંપનીઓએ હાલમાં જ ટેરીફની કિંમતમાં વધારો કર્યો છે. રિલાયન્સ જિઓથી લઈને આઈડિયા વોડા અને એરટેલે પોતાના પ્લાન્સમાં 40 ટકા સુધીનો વધારો કર્યો છે. પરંતુ અહીંથી જ ટેલીકોમ અટકશે નહીં, આવનારા સમયમાં ટેરિફમાં હજુ પણ વધારો થઈ શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, ટેલીકોમ ઉદ્યોગને નુકસાનથી બચાવવા માટે વધારો કરવામાં આવી શકે છે.


ટેલીકોમ ટોકના એક અહેવાલ અનુસાર, સેલ્યૂલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે COAIના ડાયરેક્ટર જનરલ રાજન મૈથ્યૂઝનું માનવું ચે કે ઇન્ડસ્ટ્રીની નાણાંકીય ખેંચને પહોંચી વળવા માટે પ્લાન્સની કિંમતમાં વધારો થવો જોઈએ. તેમણે એ પણ કહ્યું કે, ટેરિફ હાઈક 200 રૂપિયા ARPU (એવરેજ રેવન્યૂ પર યૂઝર) સુધી થવા જોઈએ.

ટેલીકોમ કંપનીઓ પણ ટેરિફ હાઇકને લઇને TRAI પાસે ગઇ છે જેથી વૉઇસ અને ડેટા માટે ફ્લોર પ્રાઇસિંગ નક્કી કરી શકાય. ફ્લોર પ્રાઇસિંગ માટે એક પેપર પણ તૈયાર કરવામાં આવ્યુ છે અને તે અંતર્ગત આગામી મહિને અથવા તો આગામી અઠવાડિયે ટેરિફની કિંમતો વધી શકે છે.

હાલ ટેલીકોમ રેગ્યુલેટર ઑથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે ટ્રાઇ સ્ટેક હોલ્ડર્સના કમેન્ટની રાહ જોઇ રહ્યું છે. જે બાદ ટેરિફમાં વધારો કરવો કે નહી તે અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ તે સ્પષ્ટ નથી કે આ વખતે ટેરિફમાં કેટલો વધારો થશે.