'દેશમાં 108 વર્ષ પછી જૈનો જ નહીં હોય', ક્યા જૈનાચાર્યે કર્યું આ નિવેદન ? જૈનોને આપી શું સલાહ ?
વડોદરા: દેશમાં જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. પારસી કોમ પછી જે વસતી ઘટી રહી છે તે જૈન સમાજની છે તેમ ટાંકી જૈનાચાર્ય પૂ.વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ જણાવ્યું છે.
50 વર્ષ પહેલાં તેમજ પ્રાચીનકાળમાં માતા-પિતાને 4, 5 કે 6 સંતાનો રહેતાં હતાં. જૈન સમાજમાં પણ આ વ્યવસ્થા હતી. ધીરેધીરે આ વ્યવસ્થા બદલાતાં બાળકોની સંખ્યા 4, 3, 2 થઇ. હવે 'હમ દો-હમારે એક'ની ફેશન ચાલી છે.
તીર્થધામો-દેરાસરો વધ્યાં છે તેની સામે જૈન સમાજની વસતી ઘટતી રહી છે. તેમણે ચિંતા સાથે જણાવ્યું હતું કે, વસતી ઘટે છે ત્યારે ગમે તેટલાં દેરાસર હોય, તીર્થ હોય, ધર્મસ્થાનક હોય, સંઘ યાત્રાઓ થાય, ગમે તેટલી દીક્ષાઓ થાય કે ગમે તેટલાં મોટાં આયોજનો કરો તેનો કોઇ જ અર્થ રહેતો નથી. જૈનાચાર્યે ઉમેર્યું હતું કે, કોઇપણ ધર્મ ત્યારે જ ટકે જયારે તેને અનુસરવાવાળા લોકોની વસતી હોય.
તેમણે દેશમાં માત્ર 60 હજાર જ પારસીઓ બચ્યા છે, આગામી 25 વર્ષમાં આ કોમનું અસ્તિત્વ જોખમાશે તેમ ટાંકી જૈન સમાજની પણ આ જ હાલત થવા જઇ રહી છે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.જૈનાચાર્યે કહ્યું હતું કે, 35 વર્ષ પહેલાં દેશમાં 1 કરોડ જૈન હતા. તે મુજબ જૈન સમાજની વસતી વધવી જોઇતી હતી. પરંતુ આશ્યર્યજનક રીતે જૈનોની વસતી ઘટીને 60 લાખ થઇ ગઇ છે.
જૈનાચાર્યે જૈન સમાજને વસતીનું ધોરણ જાળવવા માટે 'હમ દો-હમારે એક'ની નીતિ છોડવાની અને પોતાની કમીઓ-નબળાઇઓ દૂર કરવાની અપીલ કરી છે. વડોદરામાં શ્રી અલકાપુરી જૈન સંઘ ખાતે પધારેલા જૈનાચાર્ય પૂ.વિમલસાગર સૂરિ મહારાજે દેશમાં જૈન સમાજની ઘટી રહેલી વસતી અંગે ચિંતા વ્યકત કરી હતી.