વડોદરાઃ ભેદી સંજોગોમાં યુવતીનો બળેલી હાલતમાં મળ્યો મૃતદેહ, કથિત પ્રેમી ફરાર
મકરપુરાના તુસલીનગરમાં 20 વર્ષીય યુવતીની લાશ સળગેલી હાલતમાં મળતાં આસપાસના લોકોએ 108ને જાણ કરી હતી. આ પછી પોલીસને જાણ કરાતા મકરપુરા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસ તપાસમાં આ યુવક યુવતી બિહારના હોવાનું સામે આવ્યું છે. તેમજ ચાર દિવસ પહેલા ભાડેથી રહેવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ યુગલ કામ સિવાય બહાર નીકળતું નહોતું.
પાડોશીએ 20 વર્ષીય યુવતી સાથે રહેતા યુવકને છેલ્લા મંગળવારે સાંજે ચાર વાગ્યે જોયો હતો. યુવકનું નામ અજીત કુમાર હોવાનું જાણવા મળ્યું છે. યુવતીએ આપઘાત કર્યો કે પછી યુવકે તેની હત્યા કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. તેમજ બંને કયા ઇરાદાથી વડોદરા આવ્યા હતા, તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારના એક મકાનમાંથી ભેદી સંજોગોમાં સળગેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ યુવતી સાથે રહેતો કથિત પ્રેમી યુવક ફરાર થઈ ગયો છે. આ યુવક-યુવતી ચાર દિવસ પહેલા જ ભાડે રહેવા આવ્યા હતા. જોકે, આ યુવક-યુવતી પતિ-પત્ની છે કે પ્રેમીઓ છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમજ હત્યા પાછળનું કારણ પણ જાણી શકાયું નથી.
આ યુગલ જે મકાનમાં રહેતા હતા, તેના માલિક મજરુપાલ હાલ બહારગામ હોવાથી પોલીસ તેમનું નિવેદન લઈ શકી નથી. તેમના નિવેદન પછી વધુ વિગતો સામે આવી શકે છે. પોલીસે યુવતીની લાશ મળ્યા પછી લાપતા થયેલા યુવકની શોધખોળ હાથ ધરી છે.