Sabarmati River: સાબરમતી નદીમાં પાણી આવતા વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા
અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાબરમતી નદીની ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વાસણા બેરેજમાંથી પણ પાણીની આવક અને જાવક વધી છે. હાલમાં વાસણા બેરેજના કુલ ૨૭ ગેટ ખોલવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના નદી કિનારાના ગામોને સાવધ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
સંત સરોવર માંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવતા આ નિર્ણય લેવાયો
આજે સવારે ૬:૩૦ કલાકે ધરોઈ ડેમમાંથી ૯૪,૪૩૨ ક્યુસેક પાણીનો જથ્થો અને સંત સરોવરમાંથી ૬૮,૫૮૫ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમનું પાણી વાસણા બેરેજ સુધી પહોંચતા આશરે ૧૧ થી ૧૨ કલાક અને સંત સરોવરનું પાણી ૧ કલાક જેટલો સમય લે છે.
હાલમાં વાસણા બેરેજમાંથી ૩૨,૪૧૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને બેરેજના ૨૭ ગેટ ખોલવામાં આવ્યા છે. નદીમાં પાણીની આવક વધવાની સંભાવના હોવાથી, સાબરમતી નદીના કાંઠાના ગામોને સતર્ક રહેવા અને સલામતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક તંત્ર પણ આ પરિસ્થિતિને લઈને હરકતમાં આવ્યું છે.