
Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર
અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓ બન્યા છે બેફામ. બાકરોલ વિસ્તારમાં 14 ફેબ્રુઆરીએ અજાણ્યા કેમિકલ માફિયાઓએ અત્યંત ટોક્સિક કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઉકાઈ જમણાકાંઠા મુખ્ય નહેરમાં ઠાલવ્યું. જેને લઈને પાણીમાં રહેતી માછલીઓ તરફડીને મૃત્યુ પામી. આ કેમિકલની તિવ્રતા એટલી હતી કે નહેરના પાણીનો રંગ બદલાઈ ગયો. જે કેમિકલ આ નહેરમાં ઠાલવ્યું તે નહેર RSPL કંપની.. પાનોલી જીઆઈડીસી પાસેથી નીકળી બાકરોલ, કાપોદરા, કોસમડી, ભડકોદરા, અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાંથી થઈને અંકલેશ્વર નગરપાલિકાના તળાવમાં પૂર્ણ થાય છે. કેમિકલ નહેરમાં ઠાલવતા અંદાજે 1 લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઉભું થયું હતું. જો કે, ભલુ થજો એ નહેરના ગેટ ઓપરેટર બળવંતકુમાર મોદીનું. કે જેમણે સમયસુચકતા વાપરી ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગને જાણ કરી. અને અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારનો પાણી પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરાયો.