સોમાલિયામાં સૌથી મોટો આતંકી હુમલો, 189નાં મોત, અફરા-તફરીનો માહોલ
ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. હોસ્પિટલોમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોની સાથે જ ઘવાયેલાઓની ભીડ પણ દેખાઇ રહી છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ્લાહી મોહમ્મદે સેંકડો લોકોની સાથે રક્તદાન કર્યું છે.
આ પ્રચંડ વિસ્ફોટ માટે સરકારે અલ-કાયદા સાથે સંકળાયેલા અલ-શબાબ આતંકી સંગઠનને જવાબદાર ઠરાવ્યું છે. રાજધાનીમાં એમ્બ્યુલન્સની સાઇરનના અવાજ ગુંજી રહ્યા છે. એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ કહે છે કે ઓછામાં ઓછા છેલ્લા 10 વર્ષમાં તેઓએ આવું ભયંકર દ્રશ્ય જોયું નથી.
અધિકારીઓએ જણાવ્યું કે સોમાલિયામાં એક જ હુમલામાં આટલા લોકો અગાઉ ક્યારેય માર્યા ગયા નથી. સોમાલિયાએ રાષ્ટ્રીય આપત્તિની જાહેરાત કરી છે. દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાઇ છે.
મોગાદિશુ: સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં અત્યાર સુધીનો સૌથી પ્રચંડ વિસ્ફોટમાં 189 લોકો માર્યા ગયા છે અને 200થી વધુ લોકો ઘવાયા છે. ઘવાયેલાઓમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગીચ વસતીવાળા વિસ્તારમાં આવેલી હોટલ સફારીની બહાર ટ્રક બોમ્બથી પ્રચંડ વિસ્ફોટ કરવામાં આવતા હોટલ કાટમાળમાં ફેરવાઇ ગઇ છે. ઘણા લોકો કાટમાળ નીચે દબાઇ ગયા છે. વિસ્ફોટને કારણે હોટલનો મેટલ ગેટ અને સુરક્ષા દીવાર પણ ધવસ્ત થઇ ગઇ છે. આ હોટલ નજીક જ વિદેશ મંત્રાલય અને અન્ય ઘણા મંત્રાલયોની ઓફિસ આવેલી છે.