ટ્રમ્પના નવા ફતવાને કારણે હજારો ગુજરાતીઓને અમેરિકામાંથી તગેડી મૂકાશે, જાણો વિગત
વોશિંગ્ટન:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ગેરકાયદેસર રહેતા અંદાજે 8 લાખ લોકોને ઘરભેગા કરી દેવામાં આવશે જેમાં સાત હજાર ભારતીયોને સમાવેશ થાય છે. આ સતાવાર આંકડાઓ છે જ્યારે એક બિનસતાવાર આંકડાઓ અનુસાર, અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોની સંખ્યા 12 હજાર કરતા પણ વધુ છે. ટ્રમ્પના આ નિર્ણયથી અંદાજે ગેરકાયદેસર રહેતા ત્રણ હજાર ગુજરાતીઓને પણ અમેરિકામાંથી તગેડી મુકવામાં આવે તેવી સંભાવના છે.
જેસ સેશન્સે કહ્યું કે, જે લોકોને સંરક્ષણ મળેલું છે અને જો તે આવતા વર્ષે 5 માર્ચ અગાઉ પુરુ થતું હશે તો તેઓ પાંચ ઓક્ટોબર સુધીમાં તેને રિન્યુ કરાવી શકશે. પરંતુ જો રાહત છ માર્ચના રોજ પુરી થતી હશે તો પણ તેને રિન્યુ કરાવી શકાશે નહીં. એક અંદાજ અનુસાર, આ પ્રોગ્રામ રદ કરવાના કારણે અમેરિકાને વાર્ષિક 200 બિલિયન અમેરિકન ડૉલરનું નુકસાન થશે.
તેમણે કહ્યું કે ગૃહ વિભાગને ધીમે ધીમે ગેરકાયદેસર રહેતા લોકોની રાહત પૂરી કરવાના આદેશ અપાયા છે. હવે આ પ્રોગ્રામ અંતર્ગત કોઇ પણ અરજી કરી શકશે નહીં. જોકે, જેને અગાઉથી રાહત મળી છે તેમની સુવિધા ચાલુ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઓબામા સરકારે ડીએસીએ પ્રોગ્રામ 2012માં લાગુ કર્યો હતો. જેને રદ થયાની જાહેરાત કરતા અમેરિકાના એર્ટોની જનરલ જેસ સેશન્સે કહ્યું છે કે, ડીએસીએની બંધારણમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. તેના કારણે હજારો અમેરિકનો પાસેથી નોકરી છીનવાઈને ગેરકાયદે પ્રવાસીઓને મળી રહી છે. પોતાની મરજીથી ઘૂસેલા કોઈ પણ પ્રવાસીઓને અમે અહીં ન રાખી શકીએ.
ટ્રમ્પના આ નિર્ણયનો સમગ્ર અમેરિકામાં વિરોધ થઇ રહ્યો છે. ટ્રમ્પ સરકારની જાહેરાત બાદ સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. વ્હાઇટ હાઉસની બહાર પણ હજારો લોકોએ વિરોધ પ્રદર્શન યોજ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વધુ એક નિર્ણયમાં ફેરબદલ કરી હતી. નાનપણમાં ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જવામાં આવેલા પ્રવાસીઓને દેશમાંથી કાઢવાની જગ્યાએ અસ્થાઈ રાહત આપવા માટે ડીએસીએ (ડેફર્ડ એક્શન ફોર ચાઈલ્ડ હુડ) પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો હતો જેને ટ્રમ્પ સરકારે રદ કર્યો હતો. આ પ્રોગ્રામમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા યંગ ઇમિગ્રન્ટ્સને વર્ક પરમિટ આપતી ગ્રાન્ટ રદ કરવાની જાહેરાત કરી છે.