આખરે શાંતિ માટે માન્યો તાનાશાહ કિમ જોંગ, 9 જાન્યુ.એ સા.કોરિયા સાથે કરશે વાતચીત
સિઓલઃ અમેરિકા અને પાડોશી દેશોને વારંવાર યુદ્ધની ધમકી આપીને ડરાવવાની કોશિશ કરતો ઉત્તર કોરિયાનો તાનાશાહ હવે ઢીલો પડ્યો છે. દક્ષિણ કોરિયાએ આપેલો મંત્રણા પ્રસ્તાવને તાનાશાહે સ્વીકારી લીધો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી શાંતિ મંત્રણાનો પ્રયાસ આખરે સ્વીકારાયો છે. આગામી અઠવાડિયે બન્ને દેશો વચ્ચે એટલે કે કિમ જોંગ અને દક્ષિણ કોરિયા સરકાર વચ્ચે ઔપચારિક વાતચીત થશે.
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની આ વાતચીત એટલા માટે મહત્વની છે કેમકે કિમ જોંગ ઉન દક્ષિણ કોરિયાના નામથી પણ નફરત કરે છે. તેના દેશમાં દક્ષિણ કોરિયાના રેડિયો સુધી સાભળી નથી શકાતું. જોકે, તાનાશાહના આ પ્રસ્તાવને માન્યા બાદ દક્ષિણ કોરિયામાં વિરોધ શરૂ થઇ ગયો છે.
દક્ષિણ કોરિયાના વિપક્ષી દળોના નેતાઓનો દાવો છે કે તાનાશાહનું મકસદ વાતચીત કરવાનું નથી પણ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચેની મિત્રતાને તોડવાનું છે. દ.કોરિયાના એક સ્થાનિક ન્યૂઝપેપરે એક હેડલાઇનમાં જણાવ્યું કે, તાનાશાહની ઓફરને લઇને દેશમાં પક્ષ અને વિપક્ષ આમને સામને થઇ ગયો છે.
સાઉથ કોરિયાના સ્પોક્સપર્સને આ સફળતાની પુષ્ટિ કરી છે. બંને દેશોના અધિકારીઓ વચ્ચે આ વાતચીત 9 જાન્યુઆરીના રોજ શાંતિ ઘર (Peace House)માં થશે. 8 જાન્યુઆરીના રોજ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગનો જન્મદિવસ છે. તેના બીજા દિવસે આ વાતચીત થશે.