PICS: તુર્કીમાં રશિયાના રાજદૂતની ગોળી મારી કરાઈ હત્યા, લાગ્યા અલ્લાહૂ-અકબરના નારા
હથિયારધારી શખ્સે નારા લગાવ્યા હતા કે એલેપ્પોને ન ભૂલો, સીરિયાને ન ભૂલો. તેણે અલ્લાહૂ-અકબરના નારા પણ લગાવ્યા હતા. હુમલો કરનારા વ્યક્તિનું નામ મેવલુત મેર્તે એડિન્ટાસ છે. તેણે આર્ટ ગેલેરીમાં પ્રવેશવા માટે પોલીસ આઈડી કાર્ડનો ઉપયોગ કર્યો હતો. મેવલુત મેર્ત એડિન્ટાસ અંકારામાં પોલીસ ઓફિસર હતો. તુર્કી મીડિયાના અહેવાલ મુજબ આ હુમલાખોરને ઠાર મરાયો છે. આ હુમલામાં બીજા લોકો પણ ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે રશિયા સીરિયામાં ચાલી રહેલા યુદ્ધમાં રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકારનું સમર્થન કરી રહ્યુ છે. જેના કારણે તુર્કી અને રશિયામાં તણાવ છે. સીરિયાની સરકારનું સમર્થન કરી રહેલા રશિયા વિરૂદ્ધ ઈસ્તાંબુલમાં રશિયાના દૂતવાસ બહાર પ્રદર્શન પણ થયા હતા. તુર્કીના રાષ્ટ્રપતિ રેચૈપ તૈયપ અર્દોઆને કહ્યું છે કે આ હુમલો તુર્કી અને રશિયાના સંબંધો ખરાબ કરવાના ઈરાદાથી કરાયો છે. રાષ્ટ્રપતિ અર્દોઆને આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો તુર્કી અને રશિયાના સંબંધો ખરાબ કરવા માગે છે. તેમના ઈરાદામાં તે સફળ નહિ થાય. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે આ હુમલો તુર્કી અને રશિયા વચ્ચેના સામાન્ય દ્વિપક્ષીય સંબંધ અને સીરિયાની શાંતિ પ્રક્રિયામાં ભંગ પાડવા માટે કરવાના આશયથી કરાયો છે.
અંકારા: તુર્કીની રાજધાની અંકારામાં રશિયાના રાજૂદૂતની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. રાજદૂતની હત્યા કરનારો શખ્સ તુર્કીનો એક પોલીસ અધિકારી છે. હત્યા કરતા પહેલા તેણે નારા લગાવ્યા હતા અને કહ્યું હતું કે આ એલેપ્પોનો બદલો છે. તુર્કીની રાજધાની અંકારામાં એક પ્રદર્શનમાં ભાગ લેવા માટે રશિયાના એક રાજદૂત એંડ્રે કાર્લોફ આર્ટ ગેલેરીમાં આવ્યા હતા. કાર્લોફ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ એક પોલીસ અધિકારીએ એલેપ્પો શહેર અંગે નારા લગાવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો.