Gujarat Agriculture News: રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટસની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી કિસાન હિતલક્ષી સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે HDPE (High Density Poly Ethylene) માર્કવાળા 200  લિટરની ક્ષમતાનું પ્લાસ્ટિકના ઢાંકણવાળું ડ્રમ તેમજ 10 લિટરની ક્ષમતાવાળા બે ટોકર-ટબની કીટ ખરીદીની યોજના પર મહતમ રૂ.2000 ની સહાય આપવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.


સહાયનો લાભ લેવા ખેડૂતોએ આપવું પડશે GSTવાળું બિલ


કૃષિ મંત્રીએ વધુ વિગત આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ મળેલી અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂતોએ બજારમાંથી નિયત ધારાધોરણ મુજબનું પોતાની પસંદગીની કંપનીનું ઢાંકણવાળું ડ્રમ તેમજ બે ટોકર-ટબની સમયમર્યાદામાં ખરીદ કરી સબંધિત કચેરીને GST નંબર ધરાવતું અસલ બિલ રજૂ કરવાનું રહેશે.


સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે


ખેડૂતોએ ખરીદી સમયે ડ્રમ તેમજ ટોકર ઉપર CIPET (Central Institute of Petrochemicals Engineering & Technology) દ્વારા પ્રમાણિત કર્યાનો તેમજ HDPE (High Density Poly Ethylene) નો માર્કો હોવાની ખાતરી કરીને બીલની પૂરેપૂરી રકમ ચૂકવાની રહેશે. આ ખરીદની પ્રકિયા બાદ સબંધિત કચેરી દ્વારા મહતમ રૂ.2000-ની મર્યાદામાં સહાયની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. જેનો મહતમ લાભ લેવા કૃષિ રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.


અમરેલી જિલ્લામાં ખેડૂતોએ શિયાળુ વાવેતરમાં કયા પાક પર ઉતારી પસંદગી ? જાણો શું છે કારણ


અમરેલી જિલ્લાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી શિયાળુ વાવેતરમાં ચણા ઉપર પસંદગી વધારે ઉતારી છે. ચાલુ વર્ષે 50% થી વધુ વિસ્તારમાં માત્ર ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે બીજા ક્રમે ઘઉનું વાવેતર કરવામાં આવ્યું છે.

ચણાનું વાવેતર કેમ છે ખેડૂતોની પ્રથમ પસંદગી


અમરેલી જિલ્લામાં શિયાળુ વાવેતર આ વર્ષે 1.60 497 લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. જેમાં ચણાનું વાવેતર 80,223 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. 26 હજાર હેક્ટરમાં બીજા ક્રમે ઘઉનું વાવેતર ખેડૂતોએ આ વર્ષે કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી થતી હોય છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોને ચણાના વાવેતરમાં પ્રોત્સાહન મળી રહ્યું છે. જિલ્લામાં બીજા નંબરે સૌથી વધુ ઘઉં નું વાવેતર થયું છે. અમરેલી જિલ્લામાં શિયાળુ વાવેતરમાં સતત વધી રહ્યું છે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતો વધારે પ્રમાણમાં ચણા નું વાવેતર શરૂ કર્યું છે અન્ય વાવેતરમાં પોષણક્ષમ નહીં મળતા બે વર્ષથી ખેડૂતો ચણાના વાવેતરની વધુ પસંદગી કરી છે ત્યારે ટેકાના ભાવે સરકાર વધુ ખરીદી કરે તેવી માંગ કરી રહ્યા છે