Agriculture News: ગુજરાતમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને મબલખ નફો કમાઈ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ એટલે તર્કસંગત કૃષિ, પ્રકૃતિના નિયમોને જાણી, પ્રકૃતિને પોતાની રીતે વિકસીત થવામાં મદદરૂપ ખેતી. પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થા આવા જ તર્ક અને તારણોથી ગોઠવવામાં આવી છે જેથી સંશાધનોનો બચાવ પણ થાય અને ઉત્પાદન પણ વધે. ગુજરાતનો ખેડૂત હવે આધુનિક બન્યો છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ સમજતો થયો છે. ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરી રહ્યા છે.


હળવદ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતાં દાજીભાઈ ગોહિલ, જયંતીભાઈ જાદવ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સ્ટોલ દ્વારા ગ્રાહકોને સીધું જ શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે. જેમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો આવીને પોતાનો માલ વેચી શકે છે. દેશી ગાય આધારીત ખેતીથી ઉતપન્ન થયેલા શાકભાજી, ફ્રૂટ, અનાજ, કઠોળ, મસાલા પાકોનું સીધું જ વેચાણ કરીને આવક મેળવી રહ્યા છે. આ અંગે જયંતીભાઈ જાદવે કહ્યું, દર બુધવાર અને રવિવારે આ સ્ટોલ રાખવામાં આવે છે.


ક્યાં રાખવામાં આવ્યો છે સ્ટોલ


આ સ્ટોલ હળવદ-સરા રોડ પર ઉમા સોસાયટીી સામે, શ્રીહરિનગર સોસાયટીના ગેટની બાજુમાં રાખવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતીનો માલ હોવાથી લોકો બજારભાવ કરતાં થોડી વધુ કિંમત હોવા છતાં લઈ જાય છે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પોતાનો માલ વેચવામાં થોડી મુશ્કેલી પડતી હતી તેથી સ્ટોલ લગાવ્યો. જેમાં સારો ભાવ પણ મળી રહે છે, ઉપરાંત માલનો બગાડ થતો પણ અટકે છે.






ગુજરાતમાં શરૂ થશે પ્રાકૃતિક ખેતીના શિક્ષણનો નવો અધ્યાય


ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અંગે સ્નાતક-અનુસ્નાતક કક્ષના અભ્યાસક્રમો તૈયાર કરવા રાજ્ય સરકારનું આયોજન છે. આ અભ્યાસ તૈયાર કરવા ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક અગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં આઠ સભ્યોની કમિટી બનાવાશે. પંચમહાલના હાલોલ ખાતે યુનિવર્સિટીનું મુખ્ય મથક સ્થપાશે. પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનને વેગ મળશે અને ખેડૂતોનું નિષ્ણાંતોનું માર્ગદર્શન મળશે.